મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં ‘વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ’ પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, માત્ર ‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય શારીરિક શિક્ષણ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ભારતનાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્વક ઉજવણીનાં ભાગરૂપે રવિવાર તા.૯થી શનિવાર તા.૧૫ દરમિયાન ‘ વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ’ મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. અહીંયા મહાનુભાવો દ્વારા પ્રેરક ઉદબોધનો થયાં હતાં.
‘વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ’ પ્રારંભે અખંડ ભારતના નિર્માણ માટે પોતાનું રાજ્ય એ રાષ્ટ્રને સમર્પિત કરનાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું સ્મરણ કરતાં મોરારિબાપુએ વેદમાતા, ગંગામાતા, ગૌમાતા અને જનની જન્મભૂમિ પ્રત્યેની કૃતજ્ઞતા જીવનમાં જાળવી રાખવા અનુરોધ કર્યો. તેમણે ટકોર સાથે કહ્યું કે, માત્ર ‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય છે.
રાજ્યનાં કૃષિ મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ આયોજન માટે સંસ્થા પરિવારને અભિનંદન આપ્યા. તેઓએ રાષ્ટ્ર ભાવનાના આ આયોજનને બિરદાવી ‘વંદે માતરમ્’ ભાવના તથા રાષ્ટ્રપ્રેમનો સંદેશો પ્રસરે તે આવશ્યક ગણાવેલ.
વિશ્વવિદ્યાલયના વડા ભરત રામાનુજ દ્વારા તેમનાં વક્તવ્યમાં જણાવાયુ કે, પોતાનું કાર્ય નાનું કે મોટું ન ગણતાં તેને નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવું એ સાચી રાષ્ટ્રવંદના છે.
જાણીતા વિચારક વિષ્ણુ પંડ્યાએ ઐતિહાસિક સંદર્ભો સાથે ‘વંદે માતરમ્’ ગાન રચના અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેની રહેલી પ્રેરણાદાયી ભૂમિકા સાથે ગુજરાત અને ગુજરાતીઓના યોગદાનનો ઉલ્લેખ કર્યો.
અહીંયા પ્રારંભે વિહિત પાઠક દ્વારા તૈયાર કરાયેલ લોકવાદ્યવૃંદની ભાવસભર પ્રસ્તુતિ થઈ. સંચાલનમાં શક્તિસિંહ પરમાર અને ધૃતિ પંડયા રહ્યાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel