કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને ઔપચારિક દરજ્જો આપવા માટે એક સ્પષ્ટ અને લેખિત પ્રોટોકોલ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય દ્વારા યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
હાલની સ્થિતિ એવી છે કે બંધારણ મુજબ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત બંનેને સમાન આદર મળ્યો હોવા છતાં, કાયદાકીય અમલ અને પ્રોટોકોલની દ્રષ્ટિએ બંને વચ્ચે મોટો ફરક છે. રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ માટે ‘રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971’ હેઠળ સ્પષ્ટ નિયમો અમલમાં છે, જેમાં તેના ગાયન સમયે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત છે અને અપમાન બદલ સજા પણ નક્કી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ, ‘વંદે માતરમ્’ માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ કાયદાકીય ફરજિયાત પ્રોટોકોલ ન હોવાને કારણે તેના ગાયન સમયે ઊભા રહેવા અથવા કોઈ ખાસ મુદ્રા જાળવવા અંગે નાગરિકો કાયદાથી બંધાયેલા નથી.
ગૃહ મંત્રાલયની બેઠકમાં આ મુદ્દે ગંભીર મંથન કરવામાં આવ્યું કે શું ‘વંદે માતરમ્’ના ગાયન માટે પણ સમય, સ્થળ અને પદ્ધતિ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવી જોઈએ અને શું રાષ્ટ્રગાનની જેમ જ તેના સમયે પણ ઊભા રહેવું ફરજિયાત બનાવવું જોઈએ. સાથે જ, જો ભવિષ્યમાં રાષ્ટ્રીય ગીતનું અપમાન થાય તો દંડ અથવા કાયદાકીય કાર્યવાહી માટે કડક જોગવાઈઓ લાવવી જોઈએ કે નહીં, તે દિશામાં પણ વિચારણા ચાલી રહી છે. સરકારનું આ પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે દેશભરમાં ‘વંદે માતરમ્’ને સમર્પિત વર્ષભર ચાલનારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વિવાદ તેજ બન્યો છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે વર્ષો સુધી તુષ્ટિકરણની રાજનીતિ હેઠળ રાષ્ટ્રીય ગીતના મહત્ત્વને ઓછું કર્યું, જ્યારે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપ રાજકીય લાભ માટે ઇતિહાસને મરોડી રહ્યો છે અને પશ્ચિમ બંગાળની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ સંવેદનશીલ મુદ્દાને આગળ ધપાવી રહ્યો છે.
ઇતિહાસની દ્રષ્ટિએ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ ‘વંદે માતરમ્’ 1905થી 1908ના સ્વદેશી આંદોલન દરમિયાન સ્વતંત્રતાની લડતનો પ્રબળ નારો બનીને ઉભર્યું હતું. 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગીત માટે કોઈ શિક્ષાત્મક કે દંડાત્મક સૂચનાઓ અમલમાં નથી, પરંતુ હવે સરકાર ફરી એકવાર ‘વંદે માતરમ્’ને તેનું ગૌરવશાળી અને ઔપચારિક સ્થાન અપાવવા માટે સક્રિય રીતે પગલાં ભરતી જોવા મળી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel