છત્તીસગઢના કોરિયા જિલ્લામાં ભાજપના નેતા ભરત સિંહની હત્યાના કેસે સમગ્ર રાજ્યમાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચાવી છે. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય માર્ગ અકસ્માત માનવામાં આવી રહી હતી, પરંતુ પોલીસ તપાસમાં હવે હત્યાનું ગંભીર ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં ભરત સિંહ સહિત કુલ ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હાલતમાં સારવાર હેઠળ છે.
માહિતી અનુસાર, મંગળવારે મધ્યરાત્રિ દરમિયાન ભાજપ નેતા ભરત સિંહ તેમના ભાઈ નરેન્દ્ર સિંહ અને અન્ય બે સાથીઓ સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓ ટ્રક લઈને આવ્યા અને તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારના દરવાજા જામ થઈ ગયા હતા અને કારમાં બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા.
પ્રાથમિક તપાસમાં પોલીસને લાગ્યું હતું કે ટક્કરના કારણે કારમાં આગ લાગી હતી. જોકે, બાદમાં મળેલા પુરાવા અને પ્રાથમિક માહિતીના આધારે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાર પર પેટ્રોલ છાંટી તેને આગ ચાંપી દેવામાં આવી હતી. જેના કારણે કારમાં ફસાયેલા ભરત સિંહ જીવતા જ દાઝી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ઘટનામાં ભરત સિંહના ભાઈ નરેન્દ્ર સિંહ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે કારમાંથી બહાર નીકળવામાં સફળ થયેલા વીરેન્દ્ર પ્રતાપ સિંહ પર આરોપીઓએ હુમલો કરીને મારપીટ કરી હતી, જેના કારણે તેમનું પણ મોત નીપજ્યું હતું. ચોથી વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ અંગે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભરત સિંહ અને કેટલાક સ્થાનિક લોકો વચ્ચે લાંબા સમયથી રેતીના ગેરકાયદે ખનન અને પરિવહનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ જૂનો વિવાદ જ આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.
ઘટનાના થોડા કલાકો પહેલાં જ ભરત સિંહ અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાની માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભરત સિંહ અને આરોપીઓ વચ્ચે ફોન પર વાતચીત પણ થઈ હતી. ત્યારબાદ તેઓ મુલાકાત માટે નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમના પર હુમલો કરવામાં આવ્યો અને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ કેસમાં ભાજપ સાથે સંકળાયેલા મનોજ ત્રિપાઠીનું નામ પણ સામે આવ્યું છે. મનોજ ત્રિપાઠીને સ્થાનિક સ્તરે પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે અને તેઓ ભાજપ ધારાસભ્ય રેણુકા સિંહના નજીકના માનવામાં આવે છે. પોલીસે મનોજ ત્રિપાઠી સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
મૃતક ભરત સિંહ અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ ભૂપેશ બઘેલ સરકારના કાર્યકાળ દરમિયાન તેઓ ભાજપમાં જોડાયા હતા અને બાદમાં સ્થાનિક રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમની હત્યાએ પ્રદેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
આ સમગ્ર ઘટનાને લઈને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે અને ઘટનામાં સંડોવાયેલા કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel