ખેડાના માતર તાલુકામાં આવેલા ત્રાજ ગામમાં લઘુમતી સમુદાય માટે બનાવાઈ રહેલા એક મોટા રહેણાંક પ્રોજેક્ટને લઈને વિવાદ ઉભો થયો છે. ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સમગ્ર વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરી છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામની સીમામાં ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરીને 200 થી 300 મકાનોની સોસાયટી બનાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે, જેના કારણે ભવિષ્યમાં ગામની વસ્તી રચનામાં મોટો ફેરફાર થઈ શકે છે.
ચોક્કસ સમુદાય માટે પ્રોજેક્ટ હોવાનો આરોપ
રજુઆતમાં ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે આ પ્રોજેક્ટ અમજદખાન જુનેદખાન પઠાણ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. ‘અમ્બર કોર્ટયાર્ડ કમિંગ સૂન’ અને ‘એક સપના અપની જમીન અપના આશિયાના’ જેવી યોજનાઓ હેઠળ ચોક્કસ સમુદાય માટે પ્લોટિંગ અને મકાનો બનાવવામાં આવી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
સ્થાનિકોના મતે આ પ્રકારના મોટા પાયે બાંધકામ અને બહારથી આવતા લોકોના વસવાટને કારણે ગામમાં સામાજિક સંતુલન બગડવાની ભીતિ છે. ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી લોકો વસવાટ કરવા આવી શકે છે, જેના સામે સ્થાનિકોએ વાંધો વ્યક્ત કર્યો છે.
ગામના ઇતિહાસનો ઉલ્લેખ
ગ્રામજનોએ પોતાના આવેદનમાં ગામના ઇતિહાસનો પણ ઉલ્લેખ કર્યો છે. છેલ્લા 25 વર્ષથી રથયાત્રા અને જન્માષ્ટમી જેવા તહેવારો દરમિયાન ગામમાં પોલીસ બંદોબસ્ત રાખવો પડે છે, જે સરકારી નોંધમાં પણ છે.
હાલમાં ગામમાં બંને કોમ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણ છે, પરંતુ જો બહારથી મોટી સંખ્યામાં નવા લોકો વસવાટ કરશે તો સામાજિક તણાવ ઊભો થવાની શક્યતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. તેથી મામલતદાર પાસેથી યોગ્ય રિપોર્ટ મેળવીને કોઈ નવી પરવાનગી અથવા જમીન હેતુફેર અટકાવવાની માંગ કરવામાં આવી છે.
બહારથી આવતા લોકો અંગે શંકા
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલી ડિમોલિશન બાદ કેટલાક શંકાસ્પદ વસાહતીઓ અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી શકે છે.
આ કારણે ગામમાં અજાણ્યા તત્વો આવીને વસવાટ કરશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક અને માન્ય ઓળખપત્ર ધરાવતા લઘુમતી સમુદાયના લોકો સામે તેમને કોઈ વિરોધ નથી, પરંતુ બહારથી આવતા અજાણ્યા લોકો અંગે ચિંતા છે. આ મુદ્દો માત્ર ત્રાજ ગામ પૂરતો સીમિત નથી. ગરમાલા ગામમાં પણ સમાન પ્રકારની સ્થિતિ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
અહીં ‘આશિયાના રેસિડેન્સી’ નામના પ્રોજેક્ટ દ્વારા બહુમતી વિસ્તારમાં ચોક્કસ સમુદાયના લોકો વસવાટ કરવા આવી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કેટલાક ગ્રામજનોએ ભવિષ્યમાં સામાજિક તણાવ અને અન્ય ઘટનાઓ બનવાની ભીતિ વ્યક્ત કરી છે.
તાજેતરમાં ગરમાળા ગામમાં બનેલી એક હિંસક ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગામના લોકોના જણાવ્યા મુજબ અમદાવાદ થી આવેલા કેટલાક લોકો દ્વારા સ્થાનિક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે માતર પોલીસ સ્ટેશન માં કલમ 307 હેઠળ ગુનો નોંધાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનાને કારણે આસપાસના ગામો જેમ કે ત્રાજ, કોશીયલ, પીપરીયા, માછીયેલ અને ખડીયારાપુરા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
મંદિર પાસે આગની ઘટના
બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મહામંત્રીએ આક્ષેપ કર્યો છે કે ભલાડા નજીક એક પૌરાણિક મંદિર પાસે કેટલાક દિવસોથી અસામાજિક તત્વો ભેગા થતા હતા.
ગતરાત્રે આ મંદિરમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી છે કે ત્યાં બેઠેલા તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે. નોંધનીય છે કે નજીક આવેલી મજારને કોઈ નુકસાન થયું નથી.
આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર ઉપરાંત વડાપ્રધાન, મુખ્યમંત્રી, જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય સંસ્થાઓને પણ રજૂઆતની નકલ મોકલી છે. સમગ્ર મામલે માતર તાલુકામાં આવી કોઈ પણ નવી પ્લોટિંગ સ્કીમને મંજૂરી ન આપવી અને વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવો તેવી માંગ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel