રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડર, PNG (પ્રાકૃતિક ગેસ) અને CNG પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરીંગ અને સંકલિત પ્રયત્નો કરી રહ્યા છે. મધ્યપૂર્વમાં સર્જાયેલ ભૂ-રાજકીય પરિસ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે LPG અને LNG પુરવઠા પર પડેલા પડકારોને પહોંચી વળવા ગુજરાતમાં ગેસ વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવી છે.
ગેસ પુરવઠા સુનિશ્ચિત કરવા માટે પગલાં
કેન્દ્ર સરકાર દ્વારા 5 માર્ચ 2026ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા બ્યુટેન અને પ્રોપેન ગેસનો મહત્તમ ઉપયોગ LPG ઉત્પાદન માટે ફાળવવામાં આવ્યો છે, જે માત્ર જાહેર ક્ષેત્રની ત્રણ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ (IOCL, BPCL, HPCL) ને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 9 માર્ચ 2026ના નોટિફિકેશન અનુસાર ઘરેલુ PNG અને વાહન માટેના CNGને પ્રાથમિકતા-1 આપવામાં આવી છે, જેથી નાગરિકોને કોઈ અસુવિધા ન થાય.
સ્થિતિ મુજબ, ઔદ્યોગિક ક્ષેત્ર માટે કુદરતી ગેસ પુરવઠામાં મર્યાદિત કાપ લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ આગામી દિવસોમાં LNGના નવા કાર્ગો, યુદ્ધ અસરગ્રસ્ત પ્રદેશ સિવાયના અન્ય વિસ્તારોમાંથી ભારતમાં પહોંચવાના હોવાથી પુરવઠો વધુ સુદ્ધઢ થવાની શક્યતા છે.
ગુજરાતમાં ગેસ ઉપયોગની તથ્યસૂચના
રાજ્યમાં હાલમાં 1,073 CNG સ્ટેશનો કાર્યરત છે અને 37 લાખથી વધુ PNG ગ્રાહકોને સતત ગેસ પુરવઠો ઉપલબ્ધ છે. નાગરિકો માટે ગેસ પુરવઠાની વિશ્વસનીયતા જાળવવા માટે મોનિટરીંગ સતત થઈ રહી છે. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ઊર્જા વિભાગો દ્વારા CGD કંપનીઓ અને ઓઇલ માર્કેટીંગ કંપનીઓ સાથે ગેસ પુરવઠાની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે.
13 માર્ચ 2026ના રોજ માન. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઊચ્ચસ્તરિય સમિક્ષા બેઠક યોજાઈ, જેમાં રાજ્યમાં ગેસ પુરવઠાની હાલની સ્થિતિ, વૈશ્વિક પડકારો અને આવનારા દિવસોમાં પુરવઠાની સુનિશ્ચિતતા અંગે ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ઘરેલુ LPG, PNG અને CNGના પ્રાથમિક ક્ષેત્રોમાં પુરવઠો અવિરત મળી રહે અને નાગરિકોને કોઈ અસુવિધા ન પડે તે સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવામાં આવશે.
લાંબા ગાળાના આયોજન
સમગ્ર રાજ્યમાં ઘરેલુ અને કોમર્શિયલ PNG કનેક્શન વધારવા, નવા વિસ્તારોમાં નેટવર્ક વિસ્તારવા અને વધુ ગ્રાહકોને PNG સાથે જોડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડી સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને પણ ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે.
નિયમનકારી પગલાં
કેન્દ્ર સરકાર દ્વારા LPG અને LNGને આવશ્યક ચીજવસ્તુ ધારો-1955 હેઠળ નિયંત્રિત કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર સંગ્રહખોરી અથવા અન્ય ગેરપ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીનો હુકમ આપવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા બે LPG બુકિંગ વચ્ચે 25 દિવસ, અને ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસનું અંતર રાખવા સુચના આપવામાં આવી છે.
આ તમામ પ્રયાસો દ્વારા નાગરિકો અને ઉદ્યોગો માટે વિશ્વસનીય અને સતત ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈપણ પ્રકારની ખોટી માહિતીથી લોકો ગેરમાર્ગે ન જાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel