શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવના સુચારુ આયોજન માટે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા અને વ્યવસ્થાને લઈ અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પોષ સુદ પૂનમ એટલે જગતજનની મા અંબાના પ્રાગટ્યનો પાવન દિવસ, જેમાં દર વર્ષે લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી પહોંચે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા આ વર્ષે પણ પરંપરાગત રીતિરીવાજો સાથે ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
મહોત્સવની શરૂઆત પવિત્ર જ્યોત આગમનથી થશે, જેમાં ગબ્બર પર્વત પરથી માતાજીની પવિત્ર જ્યોત લાવવામાં આવશે. ત્યારબાદ શક્તિદ્વારથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે, જેમાં માતાજીના વિવિધ સ્વરૂપો, ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાને રજૂ કરતી 40થી વધુ આકર્ષક ઝાંખીઓ સામેલ રહેશે. આ શોભાયાત્રા સમગ્ર અંબાજીને ભક્તિમય વાતાવરણમાં ફેરવી દેશે. પોષી પૂનમના દિવસે માતાજીને વિશેષ શણગાર, મહાપૂજા અને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે, જે ભક્તોમાં વિશેષ આસ્થા જગાવે છે.
યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા પ્રાથમિકતા રાખીને વહીવટી તંત્ર દ્વારા કડક આયોજન કરવામાં આવ્યું છે. મોટી જનમેદનીને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને સમગ્ર શહેરમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરાશે અને ટ્રાફિક વિભાગ દ્વારા વિશેષ ટ્રાફિક પ્લાન અમલમાં મૂકવામાં આવશે. ભક્તોને સરળતાથી અને સુવ્યવસ્થિત રીતે માતાજીના દર્શન મળી રહે તે માટે લાઈનમાં વ્યવસ્થા, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વહીવટી તંત્ર અને સેવા સમિતિના સંયુક્ત પ્રયાસોથી આ વર્ષનો પ્રાગટ્ય મહોત્સવ વધુ ભવ્ય, શાંતિપૂર્ણ અને યાદગાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
મા અંબાના પ્રાગટ્ય અંગે પુરાણો અને લોકવાયકાઓમાં અત્યંત શ્રદ્ધાપૂર્ણ અને રોચક કથાઓ મળે છે. અંબાજી ભારતનાં 51 શક્તિપીઠોમાંનું એક મહત્વપૂર્ણ શક્તિપીઠ માનવામાં આવે છે. પુરાણકથા અનુસાર, ભગવાન શિવના તાંડવ દરમિયાન માતા સતીના દેહના ટુકડા પડ્યા હતા, જેમાં અંબાજીમાં સતીના હૃદયનો ભાગ પડ્યો હોવાનું માનવામાં આવે છે. હૃદયને શક્તિનું કેન્દ્ર માનવામાં આવતું હોવાથી અંબાજીને આદ્યશક્તિનું સ્થાન આપવામાં આવ્યું છે. લોકવાયકા મુજબ, આરાસુર પર્વત પર પોષી પૂનમના દિવસે માતાજી પ્રગટ થયા હતા અને અસુર સંહાર માટે અવતાર ધારણ કર્યો હતો, તેથી જ આ દિવસને માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અંબાજી મંદિરની વિશેષતા એ છે કે અહીં માતાજીની કોઈ મૂર્તિ નથી, પરંતુ ‘વિશ્વયંત્ર’ની પૂજા કરવામાં આવે છે, જેને માતાજીના તેજસ્વી સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. ગબ્બર પર્વતને માતાજીનું મૂળ સ્થાનક માનવામાં આવે છે, જ્યાં અખંડ જ્યોત સ્વયં પ્રગટ થયાની માન્યતા છે અને ભક્તો ગબ્બરના દર્શન કર્યા વગર યાત્રા અધૂરી માને છે. આમ, મા અંબાનું પ્રાગટ્ય શક્તિ અને ભક્તિનો મહાસંગમ છે અને પોષી પૂનમ લાખો શ્રદ્ધાળુઓ માટે મા અંબાના ધરતી પર આગમનનો આનંદોત્સવ બની રહે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel