ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 15 જાન્યુઆરીના ‘આર્મી ડે’ પૂર્વે યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં દેશની સુરક્ષા સ્થિતિ, સરહદી પડકારો અને સેનાની ભવિષ્યની તૈયારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. 13 જાન્યુઆરીએ દિલ્હીના માણેકશો સેન્ટરમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં તેમણે ખાસ કરીને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ, ચીન સાથેની સરહદ અને આંતરિક સુરક્ષા પર સ્પષ્ટ અને કડક વલણ રજૂ કર્યું. તેમણે જણાવ્યું કે હાલ ઇન્ટરનેશનલ બોર્ડર (IB) અને લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર આશરે 8 આતંકી ટ્રેનિંગ કેમ્પ સક્રિય છે, જેમની દરેક હિલચાલ પર ભારતીય સેના બારીક નજર રાખી રહી છે. જનરલ દ્વિવેદીએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી કે ભૂલ થશે તો ભારત તરત જ કડક અને નિર્ણાયક કાર્યવાહી કરશે.
જનરલ દ્વિવેદીએ ‘ઓપરેશન સિંદૂર’ અંગે વાત કરતા જણાવ્યું કે આ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને તેનો હેતુ સરહદ પારથી થતી આતંકી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવાનો છે. તેમણે ખુલાસો કર્યો કે પહલગામ હુમલા બાદ માત્ર 22 મિનિટની અંદર ‘ઓપરેશન રીસેટ’ વ્યૂહરચના હેઠળ વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો, જે સેનાની ત્વરિત પ્રતિભાવ ક્ષમતાનું ઉદાહરણ છે. પાકિસ્તાન દ્વારા વારંવાર આપવામાં આવતી પરમાણુ ધમકીઓ અંગે તેમણે કહ્યું કે હવે આવી ધમકીઓનો ભારત પર કોઈ અસર નથી અને ભારત પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ હાલ સંવેદનશીલ હોવા છતાં તે સંપૂર્ણપણે ભારતીય સેનાના નિયંત્રણમાં હોવાનું તેમણે જણાવ્યું.
#WATCH | Delhi: Indian Army Chief General Upendra Dwivedi says, "Following the Pahalgam terror attack, a clear decision to respond decisively was taken at the highest level. Operation Sindoor was conceptualised and executed with precision. Through 22 minutes of initiation on 7th… pic.twitter.com/YxuPRxIgyw
— ANI (@ANI) January 13, 2026
ચીન સાથેની ઉત્તરી સરહદ અંગે જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે ઉચ્ચ સ્તરીય સૈનિક અને રાજનૈતિક વાટાઘાટોના કારણે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે. સરહદ પર શાંતિ જળવાઈ રહે તે માટે સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સેના દરેક સંભાવિત પરિસ્થિતિ માટે તૈયાર છે. મણિપુરની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે સુરક્ષા દળો અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલિત પ્રયાસોના પરિણામે ધીમે ધીમે શાંતિ સ્થાપિત થઈ રહી છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે મ્યાનમારમાં ચૂંટણી બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે સહયોગ વધુ મજબૂત બનશે.
આધુનિકીકરણના મુદ્દે જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેના ટેકનોલોજી આધારિત યુદ્ધ માટે ઝડપથી તૈયાર થઈ રહી છે. ટૂંક સમયમાં અદ્યતન બ્રહ્મોસ મિસાઈલ, હાઈ-ટેક ડ્રોન અને લોઈટરિંગ મ્યુનિશન જેવી આધુનિક હથિયાર પ્રણાલીઓ સેનામાં સામેલ કરવામાં આવશે. તેમણે ગર્વપૂર્વક જણાવ્યું કે હાલ સેનાનો 90 ટકાથી વધુ દારૂગોળો સ્વદેશી છે, જે આત્મનિર્ભર ભારત અભિયાનની મોટી સિદ્ધિ છે. વર્ષ 2026ને સેનાએ ‘નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસીટીનું વર્ષ’ જાહેર કર્યું છે, જેના દ્વારા યુદ્ધના મેદાનમાં રિયલ-ટાઈમ માહિતી આધારિત નિર્ણય લેવાની ક્ષમતા વધુ મજબૂત બનશે. આ તમામ પગલાંઓથી સ્પષ્ટ થાય છે કે ભારતીય સેના ભવિષ્યના પડકારોનો સામનો કરવા સંપૂર્ણપણે તૈયાર અને સજ્જ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel