વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક યાત્રા” વિષયક પત્રકાર પરિષદ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’, નડિયાદ ખાતે યોજાઈ.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રભારી મંત્રી તથા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષા નયનાબેન પટેલ, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્યો અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર તથા કલ્પેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકારોને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં ભારતે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. દેશની માત્ર તસ્વીર જ નહીં પરંતુ તકદીર પણ બદલાઈ છે. જનતાના અતૂટ વિશ્વાસ અને સરકારના સેવાભાવના પરિણામે આશરે 25 કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા છે. સતત ત્રીજી વખત મળેલી બહુમતી દેશવાસીઓના વડાપ્રધાન પ્રત્યેના વિશ્વાસની સાબિતી છે.
તેમણે જણાવ્યું કે “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ”ના મંત્ર સાથે ગરીબ, ખેડૂત, યુવા અને મહિલાઓના કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી છે. ડિજિટલ ગવર્નન્સ અને ટેક્નોલોજીના ઉપયોગથી રૂ. 4.31 લાખ કરોડથી વધુ રકમ ખોટા હાથોમાં જતી અટકાવવામાં સફળતા મળી છે. દેશની સુરક્ષા મજબૂત બની છે અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા નિર્ણાયક પગલાંઓએ ભારતની શક્તિનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કર્યું છે.
જનકલ્યાણકારી યોજનાઓ અંગે તેમણે જણાવ્યું કે જનધન યોજના હેઠળ 58 કરોડથી વધુ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાંથી 32 કરોડ ખાતાઓ મહિલાઓના છે. કોરોનાકાળથી અત્યાર સુધી 81 કરોડથી વધુ લોકોને મફત અનાજ મળી રહ્યું છે. આયુષ્માન ભારત યોજના હેઠળ 60 કરોડથી વધુ હેલ્થ કાર્ડ જારી કરીને નિઃશુલ્ક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પીએમ કિસાન સન્માન નિધિ તથા અન્ય યોજનાઓનો લાભ કરોડો નાગરિકો સુધી પહોંચ્યો છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસમુખી શાસનનો સીધો લાભ ખેડા સંસદીય વિસ્તારને પણ મળ્યો છે. તેમણે જણાવ્યું કે નડિયાદ રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. આગામી સમયમાં નડિયાદ રેલવે સ્ટેશન વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે શહેર અને જિલ્લાના ઐતિહાસિક વારસાને પ્રતિબિંબિત કરતું સ્ટેશન બનશે.
તેમણે વધુમાં જણાવ્યું કે નડિયાદ નજીક ઉત્તરસંડા ખાતે હાઈ સ્પીડ રેલ માટે આધુનિક સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે નડિયાદ અને આણંદ ટ્વીન સિટી તરીકે વિકાસની નવી દિશા પ્રાપ્ત કરશે. લોથલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે હડપ્પન સંસ્કૃતિને ઉજાગર કરતું વિશ્વસ્તરીય મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. હાથીજણથી ડાકોર સુધી રૂ. 400 કરોડના ખર્ચે ફોરલેન માર્ગનું નિર્માણ થનાર છે, જે વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પ સાથે ખેડા જિલ્લા સહિત સમગ્ર સંસદીય વિસ્તારમાં સર્વાંગી વિકાસના ચક્રો સતત ગતિમાન છે.
કાર્યક્રમના અંતે ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષા નયનાબેન પટેલે ઉપસ્થિત મહાનુભાવો, પત્રકારમિત્રો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
બાઈટ – ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel