મુખ્યમંત્રીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી
મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો
ઓરીસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી હતી.
મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરીની મુલાકાત લીધી હતી. અહીં સરદાર સાહેબના જીવનપ્રસંગો, પ્રતિમાનું નિર્માણ કાર્ય તેમજ ભારતના એકીકરણ માટે તેમણે કરેલા ઐતિહાસિક સંઘર્ષોને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા છે. જેની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી આરોગ્ય વન ખાતે આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો હતો. ત્યારબાદ તેમણે મિયાવાકી વન, વામન વૃક્ષ વાટિકા, લેસર શો સહિત નર્મદા આરતીમાં સહભાગી બની આધ્યાત્મિક અનુભૂતિ મેળવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વિવિધ પ્રકલ્પોની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ તેની ભાવભીની પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ માટે ગૌરવનું પ્રતિક બની છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના આહવાનને સ્ટેચ્યુ ઓફ યુનિટી જીવંત સ્વરૂપે સાકાર કરે છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અને અખંડિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશભરના ગામડાઓમાંથી લોખંડ એકત્રિત કરીને આ ભવ્ય સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે રાષ્ટ્રીય એકતાનું અનોખું પ્રતિક છે. મુખ્યમંત્રી બન્યા બાદ આ પવિત્ર સ્થળની મુલાકાત લેવાનો અવસર મળ્યો તે તેમના માટે ગૌરવ અને આનંદની લાગણી છે.
તેમણે જણાવ્યું કે, સરદાર પટેલે દેશના ૫૬૫ રજવાડાઓને એકસૂત્રમાં બાંધી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વિકસિત ભારતના નિર્માણ માટે અનેક દિશામાં પ્રયત્નશીલ છે, જે દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના સર્વાંગી વિકાસ મોડલથી પ્રેરણા લઈને તેઓ પોતાના રાજ્યમાં પણ વિકાસના નવા આયામો સ્થાપિત કરવાનો સંકલ્પ લઈને જઈ રહ્યા છે.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ મંત્રી સંપદ ચંદ્ર સ્વૈન, મુખ્ય સચિવ અનુ ગર્ગ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ સાશ્વત મિશ્રા, જળસંપત્તિ સચિવ સુશ્રી શુભા શર્મા,પ્રવાસન સચિવ બળવંત સિંહ સહીત કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ જોડાયા હતા.
આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરીએ મુખ્યમંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી, આ પ્રસંગે મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, અધિક કલેકટર સર્વ નારાયણ માધુ, ગોપાલ બામણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel