કેન્દ્રીય કેબિનેટે દેશમાં રેલવે કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ચાર નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેનો કુલ અંદાજીત ખર્ચ ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સના માધ્યમથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે, જે દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને લાભ આપશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ જણાવ્યું હતું કે ભારતના રેલવે કોરિડોર હવે વધુ શક્તિશાળી બનશે. તેમણે કહ્યું કે, “સાત મુખ્ય રેલવે કોરિડોરો કુલ રેલ ટ્રાફિકના 41% હિસ્સાને સંભાળે છે. આ કોરિડોરોને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકાર સતત નવા પ્રોજેક્ટ્સ મંજૂર કરી રહી છે.” હવે આ કોરિડોરોમાં 4 લેન અને જ્યાં શક્ય હોય ત્યાં 6 લેનની વ્યવસ્થા કરવાની યોજના છે, જેથી મુસાફરો તથા માલગાડીઓની અવરજવર વધુ ઝડપથી અને સરળતાથી થઈ શકે.
મંજૂર કરાયેલા ચાર રેલવે પ્રોજેક્ટ્સમાં સામેલ છે:
- વર્ધા–ભુસાવલ ત્રીજી અને ચોથી લાઇન – લંબાઈ 314 કિલોમીટર (મહારાષ્ટ્ર)
- ગોંદિયા–ડોંગરગઢ ચોથી લાઇન – લંબાઈ 84 કિલોમીટર (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ)
- વડોદરા–રતલામ ત્રીજી અને ચોથી લાઇન – લંબાઈ 259 કિલોમીટર (ગુજરાત અને મધ્યપ્રદેશ)
- ઈટારસી–ભોપાલ–બીના ચોથી લાઇન – લંબાઈ 237 કિલોમીટર (મધ્યપ્રદેશ)
આ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ દ્વારા આશરે 3,633 ગામડાંઓ, જેમાં 85.84 લાખ લોકો વસે છે, તેમને સીધી કનેક્ટિવિટી મળશે. ખાસ કરીને બે “આકાંક્ષી જિલ્લાઓ” — વિદિશા (મધ્યપ્રદેશ) અને રાજનાન્દગાંવ (છત્તીસગઢ) —ને આ પ્રોજેક્ટથી વિશેષ લાભ મળશે, કારણ કે અહીંથી રેલવે દ્વારા મુખ્ય શહેરી વિસ્તારો સુધી સરળ અને ઝડપી પહોંચ શક્ય બનશે.
કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે, “રેલવે પ્રોજેક્ટ્સની વધતી સંખ્યાને કારણે દેશના લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રેલવે પર આધાર વધારવાથી પરિવહન ખર્ચ ઘટે છે અને પર્યાવરણ પર પણ ઓછો પ્રભાવ પડે છે.” તેમણે કહ્યું કે, ભારત જેવા વિકસિત દેશોમાં રેલવેને રાષ્ટ્રીય વૃદ્ધિનું મુખ્ય સાધન માનવામાં આવે છે, કારણ કે તે પર્યાવરણમિત્ર, આર્થિક રીતે લાભદાયક અને લાંબા ગાળાના વિકાસ માટે ટકાઉ માધ્યમ છે।
વૈષ્ણવે જણાવ્યું કે હવે ભારતીય રેલવે ઉત્પાદન ક્ષમતામાં પણ વિશ્વસ્તરે આગેવાન બની ગયું છે. “અમે દર વર્ષે લગભગ 1,600 એન્જિનનું ઉત્પાદન કરી રહ્યા છીએ, જે યુરોપ અને ઉત્તર અમેરિકાના સંયુક્ત ઉત્પાદન કરતા વધુ છે. એ જ રીતે, અમે દર વર્ષે 7,000 રેલ કોચનું ઉત્પાદન કરી રહ્યા છીએ, જે યુરોપ, ઉત્તર અમેરિકા અને જાપાનના કુલ ઉત્પાદન કરતાં વધુ છે.”
આ પ્રોજેક્ટ્સ PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન સાથે સંકલિત છે, જેનો હેતુ રેલવે, માર્ગ, બંદર, અને હવાઈ માર્ગ જેવા વિવિધ પરિવહન માધ્યમોને એકીકૃત કરીને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી ઉભી કરવાનો છે. આના દ્વારા માત્ર રેલવે નેટવર્ક જ મજબૂત બનશે નહીં, પરંતુ સમગ્ર દેશની આર્થિક ગતિશીલતામાં વધારો થશે.
કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થશે, મુસાફરોની સુવિધા વધશે, માલ પરિવહન ઝડપી બનશે, અને ચાર રાજ્યોના અનેક જિલ્લાઓમાં રોજગાર તથા ઉદ્યોગિક વિકાસને નવો વેગ મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel