જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને પોલીસએ ઝડપી લીધી છે. આ મહિલાઓ પાસે કોઈ પણ માન્ય દસ્તાવેજો ન હતા અને તેઓ લાંબા સમયથી ગેરકાયદે રીતે ભારતમાં રહેતી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ગુપ્ત માહિતીના આધારે અંકલેશ્વર વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માહિતી મુજબ, સારંગપુર ગામ નજીક રાજપીપળા રોડ પર આવેલી રોયલ બિલ્ડીંગના એ બ્લોકમાં કેટલીક બાંગ્લાદેશી મહિલાઓ રહે છે. પોલીસએ દરોડો પાડતા મકાન નંબર 208માંથી ત્રણ મહિલાઓને ઝડપીને પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન મહિલાઓની ઓળખ બાંગ્લાદેશના ઢાકાની રહેવાસી રૂકૈયા પુરકાન રશીદ શેખ, જોસોર પોસ્ટની પરવીન ઓહાલ અબ્દુલસતર શેખ અને નોરાઈલ જિલ્લાના રૂના મહંમદ શેખ તરીકે થઈ છે. ત્રણેય મહિલાઓ પાસે પાસપોર્ટ, વિઝા અથવા અન્ય કોઈ પણ પ્રકારના માન્ય દસ્તાવેજો ન હોવાથી તેઓ ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા હોવાનું સ્પષ્ટ થયું છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મહિલાઓ બાંગ્લાદેશની સરહદેથી ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશી હતી અને કોઈ માનવીય નેટવર્કના સહકારથી પ્રથમ અમદાવાદ પહોંચી હતી. ત્યારબાદ તેમણે અંકલેશ્વરમાં વસવાટ શરૂ કર્યો હતો. કહેવાય છે કે આ મહિલાઓ અહીં ઘરગથ્થુ કામ તથા અન્ય છુપાયેલા ધંધામાં સંકળાઈ રહી હતી.
પોલીસે આ ત્રણેય મહિલાઓને જીઆઈડીસી પોલીસને હવાલે કરી દીધી છે અને હવે તેઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે. તપાસમાં આ પણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આ મહિલાઓને દેશમાં ઘૂસાડવામાં કોની ભૂમિકા હતી અને શું તેઓ કોઈ મોટી નેટવર્કનો ભાગ છે કે નહીં.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે ઘૂસેલા બાંગ્લાદેશી નાગરિકોના કેસોમાં વધારો થયો છે. ઘણા કેસોમાં આરોપીઓને પકડીને પાછા બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરની આ ઘટના પછી ફરી એકવાર સુરક્ષા એજન્સીઓએ રાજ્યમાં વિદેશી ઘૂસણખોરોને શોધવા માટે ખાસ તપાસ શરૂ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel