ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપને હરાવવા માટે તમામ વિરોધી પક્ષોએ એક થવાની અપીલ કરી છે. તેમણે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસને બિનશરતી સમર્થન આપશે, જોકે તેઓ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાશે નહીં.
વાઘેલાએ જણાવ્યું કે ભાજપને હરાવવા માટે ‘BJP વર્સેસ ઓલ’ની રણનીતિ અપનાવવી પડશે, જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય રાજકીય પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ. તેમણે ખાસ કરીને આવનારી પાલિકા અને પંચાયત ચૂંટણીથી આ પ્રયોગ શરૂ કરવાની સલાહ આપી છે.
ગુજરાત નાગરિક પરિષદના કાર્યક્રમમાં આપ્યું નિવેદન
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા દ્વારા શરૂ કરાયેલા રાજકીય મંચ ‘ગુજરાત નાગરિક પરિષદ’ના એક કાર્યક્રમ દરમિયાન વાઘેલાએ આ નિવેદન આપ્યું હતું.
તેમણે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી નેતાઓ અંગે પણ ટિપ્પણી કરતા કહ્યું કે આજે ભાજપમાં મૂળ ભાજપના કાર્યકરો શોધવા મુશ્કેલ બની ગયા છે. તેમના મતે કોંગ્રેસમાંથી આવેલા ઘણા નેતાઓએ ભાજપમાં મહત્વના પદ અને હોદ્દા મેળવી લીધા છે, જ્યારે મૂળ ભાજપના ઘણા કાર્યકરો નિષ્ક્રીય બની ગયા છે.
AAPને ભાજપની ‘બી ટીમ’ ગણાવી
શંકરસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટી (AAP) અંગે પણ કટાક્ષ કર્યો અને તેને ભાજપની ‘બી ટીમ’ ગણાવી. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં કોંગ્રેસની શીલા દિક્ષિત સરકારને સત્તાથી દૂર કરવા માટે જ આમ આદમી પાર્ટીનું નિર્માણ થયું હતું.
વાઘેલાના મતે, જો AAPમાં રહેલા સારા અને નિષ્ઠાવાન લોકો ખરેખર ભાજપને સત્તાથી દૂર કરવા માંગતા હોય, તો તેમને પણ અન્ય વિરોધી પક્ષો સાથે મળીને કામ કરવું જોઈએ.
ગુજરાતમાં ટૂંક સમયમાં યોજાનારી પાલિકા અને પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આવી સ્થિતિમાં વાઘેલાનું નિવેદન રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓ ઉભી કરી રહ્યું છે.
વિશ્લેષકોના મતે, ભાજપ સામે એકતાની વાત કરીને વાઘેલાએ વિરોધી પક્ષોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે, જોકે આ વ્યૂહરચના કેટલી સફળ થશે તે આવનારી ચૂંટણીમાં જ સ્પષ્ટ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel