આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા વનકર્મી મારામારી અને ધાકધમકી કેસમાં સજા પામેલી એક મહિલા ગુનેગારને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. શકુંતલા વસાવા નામની મહિલા આરોપીને હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સજા સમયે તેમની સાથે માત્ર 18 દિવસનું નવજાત બાળક હોવાથી આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
રાજપીપળાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની સજા ફટકારી હતી. મીડિયા અહેવાલો મુજબ, આરોપીઓમાં 5 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ હતો. કેસ વન વિભાગના કર્મચારીઓ સાથે ધાકધમકી, ફરજમાં અવરોધ, મારામારી અને ક્રિમિનલ ઇન્ટિમિડેશન જેવા આરોપો સાથે જોડાયેલો હતો.
ચુકાદા બાદ દોષિતોને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન શકુંતલા વસાવા માત્ર 18 દિવસના બાળક સાથે જેલમાં જવા મજબૂર બન્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને હાઈકોર્ટે મંજૂર કરી છે.
સરકારે જામીન અરજીનો વિરોધ ન કર્યો
આ કેસમાં રાજ્ય સરકારે પણ મહિલાની જામીન અરજીનો વિરોધ કર્યો ન હતો. સરકાર તરફથી હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે કેસના મેરિટમાં ગયા વગર, માનવતાના ધોરણે મહિલા કન્વિક્ટને જામીન આપવામાં આવે તો સરકારને કોઈ વાંધો નથી.
પબ્લિક પ્રોસિક્યુટરના જણાવ્યા મુજબ, મહિલા ગુનેગાર પાસે માત્ર 18 દિવસનું નવજાત બાળક હોવાની બાબત સરકારના ધ્યાન પર આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સ્તરે નિર્ણય લેવાયો કે જ્યારે મહિલા જામીન અરજી કરે, ત્યારે સરકાર તરફથી તેનો વિરોધ કરવામાં નહીં આવે.
હાઈકોર્ટે માનવતાના ધોરણે આપી રાહત
હાઈકોર્ટે સરકારની રજૂઆત અને મહિલાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણય બાદ શકુંતલા વસાવા અને તેમનું નવજાત બાળક જેલમાંથી બહાર આવી શકશે. જોકે, આ જામીન માત્ર સંબંધિત મહિલા ગુનેગાર માટે છે.
ચૈતર વસાવા સહિત બાકીના દોષિતો અંગે હજી સુધી અલગથી જામીન અરજી મંજૂર ન થાય ત્યાં સુધી તેઓ જેલમાં જ રહેશે. કાનૂની પ્રક્રિયા મુજબ, અન્ય આરોપીઓ પણ ઉચ્ચ અદાલતમાં રાહત માટે અરજી કરી શકે છે.
ચૈતર વસાવા કેસ શું છે?
આ કેસ વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવીને ધાકધમકી આપવાનો, મારામારી કરવાનો અને ખંડણી ઉઘરાવવાનો હોવાનો આરોપ ધરાવે છે. રાજપીપળા સેશન્સ કોર્ટે આ મામલે ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને 7 વર્ષની સજા સંભળાવી હતી.
ચુકાદા બાદ આ કેસ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે ચૈતર વસાવા ડેડીયાપાડાના AAP ધારાસભ્ય છે. બીજી તરફ, મહિલા ગુનેગાર અને તેના નવજાત બાળકને લઈને મામલે માનવતા અને કાયદાકીય પ્રક્રિયા બંને મુદ્દાઓ પર ચર્ચા તેજ બની હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel