પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આ વર્ષે શ્રાવણ માસ નિમિત્તે 30 દિવસીય ‘શ્રાવણ શિવ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી સોમનાથ ધામ ભજન, ભોજન, પૂજન અને ભક્તિના અદભુત સંગમથી ગુંજી ઊઠશે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચવાના હોવાથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા, સુરક્ષા અને દર્શન વ્યવસ્થા માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર ઉપરાંત એકાદશી, રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ અને અમાસ જેવા પવિત્ર પર્વોએ મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચે તેવી શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને રહેવા, ભોજન, દર્શન, પાર્કિંગ, પૂજન અને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓનું માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે.
પ્રથમ વખત 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ
આ વર્ષે શ્રાવણ માસમાં પ્રથમ વખત સોમનાથ ખાતે 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અલગ-અલગ સમયના સ્લોટમાં ભક્તો યજ્ઞમાં ભાગ લઈ શકશે. માત્ર રૂ. 51ના ન્યોછાવરથી ભક્તોને આહુતિ દ્રવ્ય સાથે યજમાન બનવાનો અવસર મળશે.
યજ્ઞમાં જોડાતા ભક્તો માટે પરંપરાગત ધોતીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહાયજ્ઞમાં ગીર સોમનાથ જિલ્લાના ગૌપાલકોને પણ જોડવામાં આવ્યા છે અને ગીર ગાયના છાણાનો ઉપયોગ યજ્ઞમાં કરવામાં આવશે.
દરરોજ સોમનાથ મહાદેવના વિશિષ્ટ શૃંગાર
શ્રાવણ માસ દરમિયાન દરરોજ શ્રી સોમનાથ મહાદેવને અલગ-અલગ ધાર્મિક મહત્ત્વ ધરાવતા વિશિષ્ટ શૃંગાર કરવામાં આવશે. સવાલક્ષ બિલ્વપત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના શૃંગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
શ્રાવણના પ્રથમ ત્રણ સોમવાર તથા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પણ વિશેષ શૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે.
વૃદ્ધો અને દિવ્યાંગ યાત્રિકો માટે ખાસ સુવિધા
વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ યાત્રિકોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગથી મંદિર સુધી ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી નિઃશુલ્ક ટોય ટ્રેનની સુવિધા ઉપલબ્ધ રહેશે. સાથે જ વ્હીલચેર, ગોલ્ફ કાર્ટ અને સહાયક કર્મચારીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સંકીર્તન ભવન બનશે વિવિધ પૂજાઓનું કેન્દ્ર
સંકીર્તન ભવન ખાતે ધ્વજાપૂજા, પાઘપૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક પાઠ અને સંકલ્પ સહિતની વિવિધ પૂજાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો અહીં પૂજા નોંધાવી શકશે અને પૂજા બાદ પ્રસાદ પણ મેળવી શકશે.
ઘરે બેઠા ઓનલાઈન પૂજનની સુવિધા
જે ભક્તો સોમનાથ પહોંચી શકતા નથી તેમના માટે ઓનલાઈન પૂજનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ મારફતે બિલ્વપૂજા સહિત વિવિધ પૂજાઓ નોંધાવી શકાશે. ઓનલાઈન સંકલ્પ દ્વારા ભક્તો પૂજામાં જોડાઈ શકશે.
શ્રાવણમાં પાલખીયાત્રાનું વિશેષ આયોજન
શ્રાવણના ચારેય સોમવાર ઉપરાંત પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ સોમનાથ મહાદેવની પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવશે. હજારો શિવભક્તો આ પાલખીયાત્રામાં જોડાઈ ભક્તિનો અનોખો અનુભવ કરશે.
સુરક્ષા અને દર્શન વ્યવસ્થા વધુ મજબૂત
શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી મંદિર ખાતે વધારાનો સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ શુદ્ધ પીવાના પાણીની સુવિધા, વધારાની પ્રસાદ વ્યવસ્થા, પૂજાવિધિ, ક્લોકરૂમ અને જૂતાઘરની વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિર પરિસરમાં અગ્નિશામક વ્યવસ્થા અને ફાયર સેફ્ટી સિસ્ટમને પણ વધુ મજબૂત બનાવવામાં આવી છે. કર્મચારીઓને અગ્નિશામક સાધનોના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી છે, જ્યારે પ્રથમ સારવાર માટે પ્રશિક્ષિત સ્ટાફ પણ તૈનાત રહેશે.
‘વંદે સોમનાથ’ કલા મહોત્સવમાં રાષ્ટ્રીય કલાકારો આપશે રજૂઆત
શ્રાવણના દરેક સોમવારે ‘વંદે સોમનાથ’ કલા મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરના કલાકારો દ્વારા નૃત્ય અને સંગીતની કલા આરાધના કરવામાં આવશે. સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા ભક્તોને ધાર્મિક માહોલ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ લાભ મળશે.
ટ્રાફિક અને પાર્કિંગ માટે વિશેષ આયોજન
શ્રાવણ માસ દરમિયાન ગુરુકુળ શંખ સર્કલથી શ્રી રામ મંદિર સુધીનો માર્ગ એકમાર્ગીય રાખવામાં આવશે. યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર સહિત વાહનો માટે પાર્કિંગ ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સરળતાથી જળવાઈ રહે.
સ્વચ્છતા જાળવવા રાત્રિ સફાઈની ખાસ વ્યવસ્થા
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલિકા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે રાત્રિ સફાઈની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રિકોને પણ કચરો કચરાપેટીમાં જ નાખવા અને સોમનાથની પવિત્રતા તથા સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
આમ, 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી સોમનાથ ધામમાં ભક્તિ, શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાશે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ એક જ નાદથી ગુંજી ઊઠશે—‘હર હર મહાદેવ… જય સોમનાથ!’
રિપોર્ટર:- મૌલિક ઝણકાટ (ગીર સોમનાથ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel