અમદાવાદની વિશેષ NIA કોર્ટે રાઈસિન જેવા અત્યંત ઝેરી પદાર્થનો ઉપયોગ કરીને મોટાપાયે જાનહાનિ કરવાના કથિત આતંકવાદી કાવતરાના કેસમાં મુખ્ય આરોપી ડૉ. સૈયદ અહેમદ મોહિયુદ્દીનની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. 10 ઑગસ્ટ 2026ના રોજ સ્પેશિયલ જજ હેમંગ આર. રાવલે આપેલા આદેશમાં કોર્ટે નોંધ્યું કે આરોપી વિરુદ્ધ પ્રથમદર્શી ગંભીર સામગ્રી ઉપલબ્ધ છે અને UAPAની કલમ 43D(5)ની કડક જોગવાઈઓને ધ્યાનમાં રાખતાં તેને જામીન આપવાનો આધાર બનતો નથી.
કોર્ટ સમક્ષ NIAએ આરોપ મૂક્યો હતો કે સૈયદ માત્ર રાઈસિન તૈયાર કરવાની પ્રક્રિયા સાથે જ જોડાયેલો નહોતો, પરંતુ વિદેશમાં બેઠેલા કથિત હેન્ડલર સાથે સંપર્ક, ભંડોળની વ્યવસ્થા, હથિયારો મેળવવા, અન્ય લોકોને નેટવર્કમાં જોડવાનો પ્રયાસ અને સંભવિત આતંકવાદી હુમલા માટે તૈયારી જેવી પ્રવૃત્તિઓ પણ સમગ્ર કાવતરાનો ભાગ હતી. બીજી તરફ બચાવ પક્ષે તમામ આરોપોનો ઇનકાર કરીને સૈયદને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
ડૉક્ટર હોવાને કારણે રાઈસિનની ગંભીરતાથી અજાણ હોવાનો દાવો સ્વીકારાયો નહીં
જામીન અરજી પર સુનાવણી દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપીને રાઈસિનની સંપૂર્ણ પ્રકૃતિ કે તેની જાનલેણ અસરની પૂરતી જાણકારી નહોતી. જોકે કોર્ટે નોંધ્યું કે સૈયદ જનરલ ફિઝિશિયન છે અને તેથી રાઈસિન જેવા અત્યંત ઝેરી પદાર્થની પ્રકૃતિથી તે સંપૂર્ણપણે અજાણ હતો એવી દલીલ પ્રથમદર્શી રીતે સ્વીકારી શકાય નહીં.
કોર્ટના અવલોકન મુજબ રાઈસિન એક અત્યંત ઝેરી જૈવિક ઝેર છે અને તેનો ઉપયોગ ગંભીર જાનહાનિ માટે થઈ શકે છે. આરોપીના વ્યવસાયિક અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને તેને આ પ્રકારના પદાર્થની ગંભીરતા અંગે કોઈ જ સમજ નહોતી એવું માનવા માટે હાલના તબક્કે પૂરતો આધાર મળતો નથી.
હૈદરાબાદના નિવાસસ્થાને કથિત લેબોરેટરી પણ તપાસના કેન્દ્રમાં
NIAએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે સૈયદે હૈદરાબાદના પોતાના નિવાસસ્થાનમાં કોઈ સક્ષમ સત્તાધિકારીની લાઇસન્સ અથવા પરવાનગી વગર લેબોરેટરી જેવી વ્યવસ્થા ઊભી કરી હતી. તપાસ એજન્સીનો આરોપ છે કે ત્યાં એરંડાના બી અને અન્ય રસાયણોની મદદથી રાઈસિન કાઢવાની પ્રક્રિયા સાથે જોડાયેલા પ્રયોગો કરવામાં આવતા હતા.
કોર્ટે પણ આ મુદ્દાને મહત્વનો ગણાવ્યો હતો. આદેશમાં નોંધાયું હતું કે નિવાસસ્થાને આવી લેબોરેટરી હોવી અને ત્યાં કથિત રીતે ઝેરી પદાર્થ સાથે સંકળાયેલી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવી પ્રથમદર્શી રીતે ગંભીર બાબત છે.
ત્રણ પિસ્તોલ અને 30 જીવતા કારતૂસની રિકવરી અંગે NIAની દલીલ
NIAએ સૈયદની જામીન અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે તેની પાસેથી કોઈ માન્ય લાઇસન્સ વગર ત્રણ પિસ્તોલ અને 30 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન ભારતીય તેમજ અમેરિકન ચલણી નોટો અને આશરે ચાર લિટર કેસ્ટર ઑઇલ ધરાવતી બોટલ પણ મળી આવી હોવાનું એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે બેગમાં રાખવામાં આવેલા હથિયારો અંગે સૈયદને જાણ નહોતી. પરંતુ કોર્ટે આ દલીલને હાલના તબક્કે સ્વીકારી નહોતી. કોર્ટ મુજબ તપાસ દરમિયાન સામે આવેલી અન્ય સામગ્રી સાથે હથિયારોની રિકવરીને જોવામાં આવે તો સમગ્ર મામલે ગંભીર શંકા ઊભી થાય છે.
‘અબુ ખદીજા’ નામના કથિત હેન્ડલર સાથે સંપર્કનો આરોપ
NIAએ કોર્ટ સમક્ષ એવો પણ દાવો કર્યો હતો કે સૈયદના મોબાઇલ અને ડિજિટલ પુરાવામાં ‘અબુ ખદીજા’ નામના ટેલિગ્રામ યુઝર સાથેનો સંપર્ક મળી આવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે અબુ ખદીજા કેસમાં ફરાર આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે.
એજન્સીએ આરોપ મૂક્યો કે સૈયદ અને આ કથિત હેન્ડલર વચ્ચે એસિટોન, એરંડાના બી, હથિયારોની ખરીદી, રાઈસિન તૈયાર કરવાની પ્રક્રિયા અને ભંડોળ જેવી બાબતોને લઈને વાતચીત થઈ હતી. NIAના જણાવ્યા મુજબ સૈયદે કથિત મજહબી હેતુઓ માટેની પ્રવૃત્તિઓમાં સહકાર આપવા સંમતિ આપી હતી અને વ્યવસાય સ્થાપવા માટે આશરે 4 લાખ અમેરિકન ડૉલરની નાણાકીય મદદ પણ માગી હતી.
દિલ્હી અને અમદાવાદની મુસાફરી પણ કાવતરાની કડી હોવાનો NIAનો દાવો
તપાસ એજન્સીએ એવો આરોપ પણ મૂક્યો કે મોટા કાવતરાના ભાગરૂપે સૈયદ ઑગસ્ટ 2025માં દિલ્હી ગયો હતો. ત્યાં તેણે એક સહયોગીને મળીને યોજનાઓ, ભંડોળ અને આગળની કામગીરી અંગે ચર્ચા કરી હોવાનો NIAનો દાવો છે.
ચાર્જશીટ મુજબ સપ્ટેમ્બર 2025માં તે અમદાવાદ આવ્યો હતો અને મહેસાણાના છત્રાલ નજીક અગાઉથી નક્કી કરાયેલા સ્થળેથી આશરે ₹1.90 લાખનું કથિત આતંકવાદી ભંડોળ મેળવ્યું હતું. તપાસ એજન્સી મુજબ આ મુસાફરીઓ અને મિટિંગ્સથી આ કેસ માત્ર ઑનલાઇન વાતચીત પૂરતો મર્યાદિત નહોતો પરંતુ જમીની સ્તરે પણ તૈયારીઓ ચાલી રહી હોવાની શંકા મજબૂત બને છે.
શપથના વીડિયો અને અન્ય લોકોને નેટવર્કમાં જોડવાના પ્રયાસનો આરોપ
NIAએ કોર્ટ સમક્ષ શપથ સંબંધિત આરોપોની પણ માહિતી આપી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર સૈયદે કથિત હેન્ડલરના નિર્દેશ પર શપથ લીધો હતો અને તેનો વીડિયો બનાવીને હેન્ડલરને મોકલ્યો હતો.
NIAએ એવો પણ આરોપ મૂક્યો કે સૈયદે અબ્દુલ વાજિદ અને નાવેદ પામિડી નામના અન્ય લોકોને પણ સમાન શપથ લેવડાવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ એજન્સી મુજબ આ વીડિયો અને રેકોર્ડિંગ્સ મંજૂરી તથા નાણાકીય મદદ મેળવવા માટે શેર કરવામાં આવ્યા હતા.
રાઈસિન તૈયાર કરવાની પ્રક્રિયાના ફોટા અને વીડિયો મોકલ્યાનો દાવો
એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે સૈયદે ઝેરી પદાર્થ તૈયાર કરવાની પ્રક્રિયાના ફોટોગ્રાફ અને વીડિયો પણ કથિત હેન્ડલરને મોકલ્યા હતા. NIA અનુસાર તેણે રસાયણોની મદદથી એરંડાના બીમાંથી રાઈસિન તૈયાર કરવા માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી.
ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એરંડાના બી, તેલ કાઢવા માટેના સાધનો અને એસિટોન જેવા રસાયણો સહિતની સામગ્રી એકત્ર કરવામાં આવી હતી. એજન્સી મુજબ આ સામગ્રીનો ઉપયોગ એવી પ્રક્રિયામાં થવાનો હતો જેમાંથી અત્યંત ઝેરી પદાર્થ તૈયાર થઈ શકે.
‘પાક માર્ગ’ અને માનવતા માટે કામ કરવાના બચાવને કોર્ટે સ્વીકાર્યો નહીં
બચાવ પક્ષે સૈયદની કેટલીક ચેટ્સનો આધાર લઈને દલીલ કરી હતી કે તે ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર થવા માગતો હતો અને તેણે ‘પાક માર્ગ’ તથા ‘માનવતા માટે સારું કામ’ કરવાનો રસ્તો પસંદ કર્યો હતો.
પરંતુ કોર્ટે ચાર્જશીટમાં દર્શાવાયેલી અન્ય સામગ્રીને ધ્યાનમાં રાખીને આ દલીલને પ્રથમદર્શી રીતે સ્વીકારવાનું યોગ્ય માન્યું નહોતું. કોર્ટના મતે સૈયદનો કથિત ફરાર આરોપી સાથેનો સંપર્ક, તેના નિર્દેશ મુજબ કરાયેલ પ્રવૃત્તિઓ, ઝેરી પદાર્થ સાથે જોડાયેલી તૈયારી અને ત્યારબાદ હથિયારોની રિકવરીને એકસાથે જોવાની જરૂર છે.
કોર્ટે નોંધ્યું કે ઉપલબ્ધ સામગ્રી હાલના તબક્કે એવો સ્પષ્ટ નિષ્કર્ષ આપતી નથી કે આરોપી માત્ર માનવતાવાદી અથવા નિર્દોષ હેતુથી જ આ પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો.
UAPAની કલમ 43D(5) હેઠળ જામીન અરજી નામંજૂર
સૈયદ વિરુદ્ધ UAPAની કલમ 16, 17, 18, 18-B અને 20 ઉપરાંત BNSની કલમ 61(2) અને આર્મ્સ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી ચાલી રહી હોવાનું કોર્ટ સમક્ષ રજૂ થયું હતું.
કોર્ટે જણાવ્યું કે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ પ્રથમદર્શી સામગ્રી મળી આવી છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે. UAPAની કલમ 43D(5) હેઠળ આવા કેસોમાં જામીન માટે કડક માપદંડ લાગુ પડે છે.
તમામ સામગ્રીને ધ્યાનમાં રાખીને કોર્ટે સૈયદની તરફેણમાં વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવો યોગ્ય નથી એવો નિષ્કર્ષ કાઢ્યો અને તેની નિયમિત જામીન અરજી નામંજૂર કરી. આદેશ 10 ઑગસ્ટ 2026ના રોજ ઓપન કોર્ટમાં જાહેર કરવામાં આવ્યો હતો.
નવેમ્બર 2025માં ગુજરાત ATSએ કરી હતી ધરપકડ
આ કેસની શરૂઆત નવેમ્બર 2025માં ગુજરાત ATSની કાર્યવાહીથી થઈ હતી. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-મહેસાણા હાઇવે પર અડાલજ ટોલ પ્લાઝા નજીક ડૉ. સૈયદ અહેમદ મોહિયુદ્દીનને ઝડપી લેવામાં આવ્યો હતો.
તે સમયે તેની કારમાંથી ત્રણ પિસ્તોલ, જીવતા કારતૂસ અને આશરે ચાર લિટર કેસ્ટર ઑઇલ સહિતની સામગ્રી મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિજિટલ ઉપકરણોની તપાસના આધારે ઉત્તર પ્રદેશના આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.
હૈદરાબાદના ઘરે ATSનો દરોડો
તપાસ દરમિયાન ATSએ સૈયદના હૈદરાબાદ સ્થિત ઘરે પણ દરોડો પાડ્યો હતો. ત્યાંથી રસાયણો, રૉ મટીરીયલ અને અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવી હોવાનો તપાસ એજન્સીનો દાવો હતો. ત્યારબાદ આ સામગ્રીની ફોરેન્સિક તપાસ કરવામાં આવી.
તપાસ દરમિયાન સૈયદનું નામ અફઘાનિસ્તાન સ્થિત હોવાનું જણાવાયેલા ‘અબુ ખદીજા’ નામના કથિત હેન્ડલર સાથે જોડાયું હતું. અગાઉની તપાસમાં આ વ્યક્તિ ISKP સાથે જોડાયેલો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
અમદાવાદ, દિલ્હી અને લખનૌમાં રેકી કર્યાનો આરોપ
કેસની તપાસ આગળ વધતાં એજન્સીઓએ એવો પણ આરોપ મૂક્યો કે આરોપીઓએ અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટ, દિલ્હીની આઝાદપુર APMC માર્કેટ અને લખનૌના RSS કાર્યાલય સહિતના કેટલાક સ્થળોની રેકી કરી હતી.
તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ભીડવાળા સ્થળો, ધાર્મિક અથવા સંગઠનાત્મક સ્થળો અને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાઓ વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. જોકે આ તમામ બાબતો હાલમાં આરોપોનો ભાગ છે અને કેસની અંતિમ સત્યતા ટ્રાયલ દરમિયાન નક્કી થશે.
પાકિસ્તાન કનેક્શન અને ડ્રોન મારફતે હથિયારોની ડિલિવરીની તપાસ
તપાસ દરમિયાન પાકિસ્તાન કનેક્શન અંગે પણ દાવા સામે આવ્યા હતા. એજન્સીઓના જણાવ્યા મુજબ આરોપીઓ હથિયારો મેળવવા માટે પાકિસ્તાન સરહદ નજીક સક્રિય કથિત હેન્ડલર્સના સંપર્કમાં હતા.
હથિયારોની ડિલિવરી માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા અંગે પણ તપાસ કરવામાં આવી હતી. ટેલિગ્રામ સહિતના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સંપર્ક, નાણાકીય વ્યવસ્થા, હથિયારો અને નવા સભ્યોની ભરતી જેવા પાસાઓ તપાસનો ભાગ બન્યા હતા.
જાન્યુઆરી 2026માં NIAને સોંપાઈ તપાસ
જાન્યુઆરી 2026માં આ કેસની તપાસ સત્તાવાર રીતે NIAને સોંપવામાં આવી હતી. ત્યારબાદ NIAએ તપાસ આગળ ધપાવી અને મે 2026માં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી.
એજન્સીનો આરોપ છે કે આ નેટવર્ક ISISની વિચારધારાથી પ્રેરિત હતું અને રાઈસિન જેવા ઝેરી પદાર્થનો ઉપયોગ કરીને મોટાપાયે જાનહાનિ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. વિદેશી હેન્ડલર્સ સાથેના કથિત સંપર્ક, ભંડોળ, હથિયારો, રેકી અને રાઈસિન તૈયાર કરવાની પ્રક્રિયાને તપાસ એજન્સીએ એક જ કાવતરાની અલગ-અલગ કડીઓ તરીકે રજૂ કરી છે.
સૈયદ હાલમાં સાબરમતી જેલમાં
જામીન અરજી ફગાવાયા બાદ સૈયદ અહેમદ મોહિયુદ્દીન હાલ સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કેસની ટ્રાયલ હજુ કોર્ટમાં ચાલી રહી છે.
જામીનના તબક્કે કોર્ટે એટલું જ નિર્ધારિત કર્યું છે કે આરોપી વિરુદ્ધ ગંભીર પ્રથમદર્શી સામગ્રી છે અને UAPAની કલમ 43D(5) હેઠળ તેને જામીન આપવાનો આધાર ઉપલબ્ધ નથી. આરોપો અંતિમ રીતે સાબિત થયા છે કે નહીં તેનો નિર્ણય ટ્રાયલ પૂર્ણ થયા બાદ જ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel