મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ‘ટીમ ઈન્ડિયા’ની ભાવનાથી એકસાથે કામ કરવાની સલાહ આપી અને વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા મજબૂત તૈયારીઓ રાખવા ભાર મૂક્યો. તેમણે સ્પષ્ટતા કરી કે દેશમાં લોકડાઉન લગાવવાનો કોઈ વિચાર નથી અને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.
પીએમ મોદીએ જણાવ્યું કે મિડલ ઈસ્ટનું હાલનું સંકટ ભારત માટે લાંબા ગાળે પડકારો ઉભા કરી શકે છે, ખાસ કરીને તેલના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે. તેમણે રાજ્યોને સૂચના આપી કે સામાન્ય જનતાને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે માટે અસરકારક વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જેમ ત્યારે કેન્દ્ર અને રાજ્યો મળીને સફળતાપૂર્વક સંકટનો સામનો કર્યો હતો, તેવી જ ‘ટીમ ઈન્ડિયા’ ભાવના ફરી જરૂરી છે.
Prime Minister Narendra Modi today chaired a meeting with Chief Ministers and Lieutenant Governors of States to review preparedness in light of the emerging situation arising out of recent developments in West Asia and its potential impact on India, via video conferencing.
PM…
— Ministry of Information and Broadcasting (@MIB_India) March 27, 2026
આ હાઈ-લેવલ બેઠકમાં અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ જોડાયા હતા. તેમાં યોગી આદિત્યનાથ, મોહન યાદવ, પુષ્કર સિંહ ધામી, વિષ્ણુ દેવ સાઈ, ચંદ્રાબાબુ નાયડુ, રેવંત રેડ્ડી, ભગવંત માન, ઓમર અબ્દુલ્લા, હેમંત સોરેન, ભૂપેન્દ્ર પટેલ અને દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ પોતાના રાજ્યોની તૈયારીઓ અંગે માહિતી આપી.
ચૂંટણી આચારસંહિતાને કારણે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં જોડાઈ શક્યા નહોતા. છતાં અન્ય રાજ્યો સાથે ઈંધણ સપ્લાય, મોંઘવારી અને લોજિસ્ટિક્સ સુધારણા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ.
બીજી તરફ, લોકડાઉન અંગે ફેલાતી અફવાઓ પર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરી કે સરકાર પાસે એવો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે દેશ પાસે પૂરતી ઊર્જા સપ્લાય છે અને સરકાર સતત ‘રિયલ ટાઇમ’ મોનીટરીંગ કરી રહી છે. લોકોને ગભરાવાની જરૂર નથી.
વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાયમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલાથી સામાન્ય જનતાને મોંઘવારીથી રાહત મળે તેવી અપેક્ષા છે.
રાજ્યસભામાં પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો તેના ગંભીર આર્થિક અને વ્યૂહાત્મક પરિણામો આવી શકે છે. ભારત હાલમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સહિતના દેશો સાથે સતત સંપર્કમાં છે અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સુનિશ્ચિત કરવા પ્રયાસ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતનો 90 ટકા વેપાર સમુદ્રી માર્ગથી થાય છે, જેથી દેશમાં જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા 70,000 કરોડ રૂપિયાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ રાજ્યોને અનુરોધ કર્યો કે તેઓ સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરે અને ગરીબોને અનાજ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરે. તેમણે કહ્યું કે આ સંકટ દેશ માટે મોટી પરીક્ષા છે અને તેમાં કેન્દ્ર-રાજ્ય સહકાર ખૂબ જ મહત્વનો રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel