ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ (ST) અનામતનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં શૈક્ષણિક પ્રવેશ પ્રક્રિયા, સરકારી ભરતી અને ચૂંટણી પ્રક્રિયામાં ST કેટેગરીનો લાભ માત્ર યોગ્ય અને અધિકૃત ઉમેદવારોને જ મળે તે માટે આદિજાતિ વિકાસ વિભાગે સર્ટિફિકેટ વેરિફિકેશનની પ્રક્રિયા વધુ કડક બનાવી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં બોગસ આદિવાસી પ્રમાણપત્રોના કિસ્સાઓ સામે આવ્યા બાદ સરકારે હવે સ્પષ્ટ કર્યું છે કે માત્ર જાતિ પ્રમાણપત્ર હોવું પૂરતું નહીં ગણાય. ઉમેદવારોએ તેમની જાતિની ખરાઈ કરાવી ‘માન્યતા પ્રમાણપત્ર’ (Validity Certificate) મેળવવું ફરજિયાત રહેશે.
એડમિશન, નોકરી અને ચૂંટણી માટે નવી વ્યવસ્થા
સરકારના નવા નિયમો મુજબ હવે ST અનામતનો લાભ લેવા માટે ઉમેદવારે ચકાસણી સમિતિ સમક્ષ જરૂરી પુરાવા રજૂ કરીને પ્રમાણપત્રની સત્તાવાર ખરાઈ કરાવવી પડશે. જો ઉમેદવાર જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરે અથવા વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેને અનુસૂચિત જનજાતિ તરીકે મળતા શૈક્ષણિક, રોજગાર અને ચૂંટણી સંબંધિત લાભો નહીં મળે.
સરકારે જાહેર કરી ‘કોમન ચેકલિસ્ટ’
આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે રાજ્ય સરકારે વિગતવાર કોમન ચેકલિસ્ટ જાહેર કરી છે.
અરજદારે સોગંદનામા સાથે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડશે:
1. મૂળ પ્રમાણપત્રની અસલ ખરાઈ
જે સરકારી કચેરી દ્વારા મૂળ જાતિ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યું હોય, તે કચેરીની સત્તાવાર ખરાઈ રજૂ કરવી પડશે.
2. સર્વિસ બુકની નકલ
જો અરજદારના પિતા સરકારી કર્મચારી હોય તો તેમની સેવાપોથી (Service Book)ના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ રજૂ કરવી પડશે.
3. દાદાના શાળાના રેકોર્ડ
ઉમેદવારના દાદા ધોરણ-1માં દાખલ થયા હોય તે શાળાના રજિસ્ટર અથવા વયપત્રકમાંથી જાતિ દર્શાવતો સત્તાવાર ઉતારો રજૂ કરવો પડશે.
4. પરદાદાથી શરૂ થતું પેઢીનામું
મહેસૂલ વિભાગના નિયમો મુજબ પરદાદાથી શરૂ કરીને અરજદાર સુધીનું સંપૂર્ણ પેઢીનામું રજૂ કરવું પડશે. તેમાં પરિવારની મહિલાઓના નામોનો પણ સમાવેશ કરવો પડશે.
5. પિતૃપક્ષના સોગંદનામા
પિતૃપક્ષના એવા નજીકના સગાઓના સોગંદનામા રજૂ કરવા પડશે જેમને અગાઉથી માન્યતા પ્રમાણપત્ર મળેલું હોય.
6. પિતા અને દાદાના જાતિ પ્રમાણપત્ર
અરજદારના પિતા અને દાદાના જાતિ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો રજૂ કરવી ફરજિયાત રહેશે.
ચકાસણી સમિતિનો નિર્ણય રહેશે અંતિમ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે રચાયેલી ચકાસણી સમિતિનો નિર્ણય અંતિમ ગણાશે. જો કોઈ ઉમેદવાર સમિતિના નિર્ણયથી અસંતોષ હોય તો તે સામાન્ય વહીવટી સત્તામંડળ કે અન્ય કોર્ટમાં નહીં પરંતુ સીધા હાઈકોર્ટમાં જ પડકાર આપી શકશે.
વેબ પોર્ટલ પર ઉપલબ્ધ થશે માહિતી
સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી વિભાગો, બોર્ડ-નિગમો અને જિલ્લા કલેક્ટરોને આ ચેકલિસ્ટ વેબ પોર્ટલ પર મૂકવાના આદેશ આપ્યા છે. જરૂરિયાત મુજબ ઉમેદવારને તમામ મૂળ દસ્તાવેજો સાથે ચકાસણી સમિતિ સમક્ષ રૂબરૂ હાજર પણ રહેવું પડી શકે છે.
બોગસ પ્રમાણપત્રો સામે સરકારની કડક કાર્યવાહી
સરકારનું માનવું છે કે આ નવી વ્યવસ્થાથી બોગસ ST પ્રમાણપત્રોનો ઉપયોગ અટકાવવામાં મદદ મળશે અને વાસ્તવિક આદિવાસી ઉમેદવારોને અનામતનો લાભ મળી શકશે. નવા નિયમો શૈક્ષણિક પ્રવેશ, સરકારી ભરતી, પ્રમોશન તેમજ સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
વાસ્તવિક લાભાર્થીઓને મળશે લાભ
આદિજાતિ વિકાસ વિભાગના મતે આ નવી ચકાસણી પ્રક્રિયા અનુસૂચિત જનજાતિ સમાજના હિતોને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે અનામતનો લાભ માત્ર યોગ્ય અને અધિકૃત ઉમેદવારો સુધી પહોંચે અને ખોટા દસ્તાવેજોના આધારે લાભ મેળવવાના પ્રયાસો પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel