દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડમાં 21 લોકોના મોતની ઘટના બાદ હવે બિહારના મુઝફ્ફરપુર શહેરમાં એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. શહેરના બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી પ્રસાદ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં ગુરુવારે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
જિલ્લા પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 4 દર્દીઓના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જોકે સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. અનેક દર્દીઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાની તેમજ ધુમાડાના કારણે ગૂંગળામણ અનુભવતા ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.
#WATCH | Four people dead in a fire in a private hospital in Bihar's Muzaffarpur
A firefighter says, "I rescued around 15 people. There was a lot of smoke as we were busy rescuing people. My job was to extinguish the fire." pic.twitter.com/GrVm46TptM
— ANI (@ANI) June 4, 2026
સવારે 3:20 વાગ્યે થયો ધડાકો, ICUમાં ફેલાયો ઝેરી ધુમાડો
પ્રાથમિક તપાસ મુજબ ગુરુવારે વહેલી સવારે આશરે 3:20 વાગ્યે હોસ્પિટલના ચોથા માળે આવેલા ICU વિભાગમાં આગ લાગી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે વેન્ટિલેટર અને અન્ય તબીબી ઉપકરણોમાં વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ.
આગ લાગ્યા બાદ સમગ્ર ICUમાં ઝેરી ધુમાડો ભરાઈ ગયો હતો. તે સમયે ICUમાં 12થી 15 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હતા. ધુમાડો અને આગની જ્વાળાઓના કારણે દર્દીઓ અને તેમના પરિજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
દર્દીઓના પરિજનોનો હોસ્પિટલ તંત્ર પર ગંભીર આરોપ
દુર્ઘટના બાદ મૃતકોના પરિજનો અને સ્થાનિક લોકોએ હોસ્પિટલ પ્રશાસન સામે ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે. પરિજનોના જણાવ્યા મુજબ આગ લાગી ત્યારે ICUમાં કોઈ પણ અટેન્ડન્ટ કે જવાબદાર કર્મચારી હાજર નહોતો.
આક્ષેપો મુજબ આગ ફાટી નીકળતા હોસ્પિટલના કેટલાક કર્મચારીઓ અને તબીબોએ દર્દીઓને છોડીને પોતાની સુરક્ષા માટે હોસ્પિટલની બહાર દોડ લગાવી હતી. જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો અને દર્દીઓને સમયસર બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.
ફાયર સેફ્ટી સિસ્ટમ નિષ્ફળ, સ્થાનિકોએ બચાવ્યા દર્દીઓ
સ્થાનિક લોકો અને દર્દીઓના પરિજનોનું કહેવું છે કે હોસ્પિટલમાં લગાવવામાં આવેલી ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને આગ ઓલવવાના સાધનો સમયસર કામ કરી શક્યા નહોતા. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
ભારે જહેમત બાદ સ્થાનિક લોકો, પરિજનો અને બચાવ ટીમે મળીને આશરે 20 જેટલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જોકે કેટલાક દર્દીઓ માટે તે સમય સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું.
પ્રશાસન હરકતમાં, હોસ્પિટલ સીલ
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
મુઝફ્ફરપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) સુબ્રત કુમાર સેને જણાવ્યું કે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગ લાગવાના ચોક્કસ કારણો, ફાયર સેફ્ટી વ્યવસ્થાની સ્થિતિ અને હોસ્પિટલ તંત્રની ભૂમિકા અંગે વિગતવાર તપાસ કરવામાં આવશે.
હોસ્પિટલ સંચાલકો સામે થઈ શકે કડક કાર્યવાહી
મુઝફ્ફરપુરના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SSP)એ જણાવ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જો હોસ્પિટલ સંચાલન અથવા અન્ય કોઈની બેદરકારી સામે આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં અકસ્માતગ્રસ્ત હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. ઘટના બાદ મૃતકોના પરિજનો અને સ્થાનિક લોકોએ હોસ્પિટલ બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
રાજ્યમાં હોસ્પિટલોની ફાયર સેફ્ટી પર ઉઠ્યા સવાલ
આ ઘટનાએ ફરી એકવાર ખાનગી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. દર્દીઓના જીવ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં સુરક્ષા ધોરણોનું પાલન થાય છે કે નહીં તે મુદ્દે હવે પ્રશાસન અને આરોગ્ય વિભાગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
મુઝફ્ફરપુરની આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ તથા કડક દેખરેખની માંગ વધુ તેજ બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel