મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત મોટો વળાંક આવ્યો છે. વર્ષોથી અલગ પડેલા ઠાકરે બંધુઓ હવે ફરી એક થઈ ગયા છે અને સાથે મળીને ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત કરી છે. લાંબા સમયથી રાજકીય રીતે નબળા પડેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે છેલ્લા કેટલાક સમયથી એકબીજાની નજીક આવતા દેખાતા હતા અને હવે આ નજીકતાએ સ્પષ્ટ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારે 24 ડિસેમ્બરે બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને આવનારી બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિતની સ્થાનિક ચૂંટણીઓમાં ગઠબંધન સાથે મેદાનમાં ઉતરવાનો એલાન કર્યો હતો.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ જણાવ્યું કે તેમનું ગઠબંધન ‘મરાઠી માણુસ’ના હિતોને કેન્દ્રમાં રાખીને કામ કરશે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં સાથે લડશે. નોંધનીય છે કે BMC સહિત રાજ્યની કુલ 29 મહાનગરપાલિકાઓ માટે આગામી 15 જાન્યુઆરીએ મતદાન યોજાવાનું જાહેર થઈ ચૂક્યું છે, જેને ધ્યાનમાં રાખીને આ રાજકીય ગઠબંધનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઠાકરે પરિવારની રાજકીય ફૂટને લગભગ 20 વર્ષ થઈ ગયા છે. વર્ષ 2005માં રાજ ઠાકરે શિવસેનામાંથી અલગ થયા હતા. તે સમયે શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે હતા અને ઉદ્ધવ ઠાકરેને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ રાજ ઠાકરે અસંતોષ અનુભવી અલગ થયા હતા. ત્યારબાદ 2006માં રાજ ઠાકરેએ ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ (MNS)ની સ્થાપના કરી હતી.
છેલ્લા બે દાયકાથી MNS મહારાષ્ટ્રની રાજનીતિમાં સક્રિય હોવા છતાં મોટી ચૂંટણી સફળતા મેળવી શકી નથી. બીજી તરફ, 2020 બાદ એકનાથ શિંદેના બળવા અને શિવસેનાની ફૂટ પછી ઉદ્ધવ ઠાકરેની રાજકીય સ્થિતિ પણ નબળી પડી છે. આવા સંજોગોમાં બંને ભાઈઓનું ફરી સાથે આવવું રાજકીય રીતે સ્વાભાવિક માનવામાં આવે છે. હવે આ ગઠબંધન આવનારી BMC ચૂંટણીમાં કેટલું અસરકારક સાબિત થાય છે, તેના પર સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન કેન્દ્રિત થયું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel