પૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને હાલ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણને ભોપાલ સ્થિત LNCT યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તા. 4 મે, 2026ના રોજ રાયસેન રોડ, ભોપાલ ખાતે યોજાયેલા ભવ્ય પદવીદાન સમારંભમાં તેમને આ સન્માન અપાયું હતું.
દેવુસિંહ ચૌહાણના રાષ્ટ્રસેવામાં સમર્પિત જીવન, વહીવટી કુશળતા અને સામાજિક યોગદાનની કદરરૂપે આ માનદ આપવામાં આવી છે. સમારંભ પૂર્વે ભોપાલ એરપોર્ટ પર તેમનું અને તેમની ધર્મપત્ની ભારતીબેનનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
દેવુસિંહ ચૌહાણ હાલમાં ત્રીજીવાર ખેડા સંસદીય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ અગાઉ ભારત સરકારમાં સંચાર રાજ્યમંત્રી તરીકે સેવારત રહ્યા હતા. રાજકીય જીવનની શરૂઆત પહેલાં તેઓ આકાશવાણી અને દૂરદર્શન વિભાગમાં એન્જિનિયર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.
તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં 5G નેટવર્કના અમલીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. સંસદમાં પણ તેમણે વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ પર સક્રિય ભાગ લીધો છે.
સમારંભ દરમિયાન મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે LNCT યુનિવર્સિટી વિશ્વસ્તરીય શિક્ષણ ગુણવત્તા તરફ આગળ વધી રહી છે અને નવી શિક્ષણ નીતિ અનુસાર પરિણામલક્ષી અભિગમ અપનાવી રહી છે.
સન્માન સ્વીકારતાં દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ સન્માન વ્યક્તિગત નહીં પરંતુ ખેડા સંસદીય વિસ્તારની જનતાનું છે. તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ દીક્ષાપ્રાપ્ત વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્રસેવામાં આગળ વધવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લા, સાંસદ અને અભિનેતા રવિકિશન, ફિલ્મ નિર્દેશક , મુકેશ છાબરા તેમજ એસ.એ.જી.ઈ યુનિવર્સિટી, ભોપાલના કુલપતિ સંજીવ અગ્રવાલને પણ માનદ ડોક્ટરેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારંભમાં મધ્ય પ્રદેશ સરકારના મંત્રી કૃષ્ણા ગૌર, LNCT યુનિવર્સિટીના ચેરમેન જય પ્રકાશ ચોક્સે, કુલપતિ જય નારાયણ ચોક્સે અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel