ભારતમાં આગામી 16મી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું છે કે આ વખતે વસ્તી ગણતરીમાં લોકોની જાતિ સંબંધિત માહિતી પણ એકત્રિત કરવામાં આવશે, જે આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર થશે.
તેમણે નાગરિકોને અપીલ કરી છે કે વસ્તી ગણતરી માટે આવનાર અધિકારીઓને સાચી અને ચોકસાઈપૂર્વક માહિતી પૂરી પાડે. તેમણે સ્પષ્ટ કર્યું કે વસ્તી ગણતરી દરમિયાન એકત્રિત કરવામાં આવેલી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગોપનીય રહેશે અને તેનો ઉપયોગ કોઈપણ પ્રકારના પુરાવા અથવા સરકારી લાભ મેળવવા માટે કરવામાં નહીં આવે.
5 એપ્રિલથી શરૂ થશે પ્રથમ તબક્કો
દેશના 16મા સેન્સસનો પ્રથમ તબક્કો 5 એપ્રિલથી શરૂ થવાનો છે. દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં આ પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવશે. દિલ્હીમાં આ તબક્કો 16 એપ્રિલથી 15 મે સુધી યોજાશે.
કમિશ્નરે જણાવ્યું કે Census Act 1948 ના કલમ 15 હેઠળ વ્યક્તિગત માહિતીની ગોપનીયતા જાળવવામાં આવશે. આ માહિતી કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થા સાથે શેર કરવામાં નહીં આવે અને કોર્ટમાં પુરાવા તરીકે પણ તેનો ઉપયોગ નહીં થઈ શકે. તેમજ, રાઈટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ પણ આ માહિતી ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે.
જાતિ આધારિત ગણતરી: ઐતિહાસિક નિર્ણય
આ વસ્તી ગણતરીમાં જાતિ આધારિત માહિતીનો સમાવેશ કરવો એક ઐતિહાસિક નિર્ણય માનવામાં આવે છે. છેલ્લે 1881 અને 1931માં જ ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી. હવે ફરીથી આ ડેટા એકત્રિત થવાથી સામાજિક અને આર્થિક નીતિઓ બનાવવામાં મદદ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવેલી સમિતિએ ગયા વર્ષે 30 એપ્રિલે આ નિર્ણય લીધો હતો.
બીજા તબક્કામાં થશે જાતિ સંબંધિત પ્રશ્નો
કમિશ્નર નારાયણે જણાવ્યું કે જાતિ સંબંધિત પ્રશ્નો વસ્તી ગણતરીના બીજા તબક્કામાં પૂછવામાં આવશે. આ માટે પ્રશ્નાવલિ તૈયાર કરવા માટે વ્યાપક ચર્ચા કરવામાં આવી રહી છે અને વિવિધ સૂચનો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
30 લાખ કર્મચારીઓ કરશે કામગીરી
આ વિશાળ પ્રક્રિયામાં લગભગ 30 લાખ ગણનાકાર અને સુપરવાઇઝરો જોડાશે. તેમાંમાંથી લગભગ 1.3 લાખ કર્મચારીઓ ડિજિટલ ડિવાઇસ સાથે સજ્જ રહેશે, જે ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવશે.
પ્રથમ તબક્કામાં નાગરિકોને કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં ઘરની સ્થિતિ, સુવિધાઓ અને અન્ય મૂળભૂત માહિતીનો સમાવેશ થશે.
ડેટા રહેશે સંપૂર્ણ ગોપનીય
કમિશ્નરે સ્પષ્ટ કર્યું કે વસ્તી ગણતરીના આંકડાઓ સંપૂર્ણપણે ગોપનીય રહેશે અને ફક્ત કુલ આંકડાકીય માહિતી જ જાહેર કરવામાં આવશે. વ્યક્તિગત માહિતી કોઈપણ રીતે જાહેર કે શેર કરવામાં નહીં આવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel