ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભારે શબ્દોમાં આક્રમણ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બંને નેતાઓ માટે ભાજપના દરવાજા સંપૂર્ણ રીતે બંધ છે. ધવલ પટેલના જણાવ્યા મુજબ, અનંત પટેલે વાપીમાં જાહેર નિવેદન આપીને ભાજપ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પાડવાની વાત કરી હતી. જો કે તેમણે ઉમેર્યું કે ભાજપમાં કોઈ ભંગાણ શક્ય નથી, પરંતુ અનંત પટેલની પ્રવૃત્તિઓ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં ફૂટ પાડવાની રાજનીતિ કરી રહ્યા છે.
ધવલ પટેલે ચૈતર વસાવા પર પણ ગંભીર આરોપો મૂક્યા. તેમણે કહ્યું કે નાનાપૌઢામાં ચૈતર વસાવાએ કોંગ્રેસના લગભગ 400 કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સાથે વારંવાર કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે. તેમ છતાં અનંત પટેલે એક પણ વખત ચૈતર વસાવા વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી. આથી બંને વચ્ચે સાંઠગાંઠ હોવાનો સ્પષ્ટ સંકેત મળે છે. ધવલ પટેલે કહ્યું કે અનંત પટેલે ક્યારેય ચૈતર વસાવાને એ પણ પૂછ્યું નથી કે તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને કેમ તોડે છે, જેનાથી બંને વચ્ચેની રાજકીય સમજૂતી સાબિત થાય છે.
સાંસદ ધવલ પટેલે આગળ જણાવ્યું કે ભાજપમાં હિન્દુ વિરોધી, ભારત વિરોધી અને આદિવાસી વિરોધી નેતાઓ માટે કોઈ સ્થાન નથી. આ કારણે અનંત પટેલ અને ચૈતર વસાવા બંને માટે ભાજપના દરવાજા બંધ છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ 2027ની વિધાનસભા ચૂંટણીમાં સો ટકા હારશે અને હાલ જે રાજકીય હલચલ ચાલી રહી છે તે માત્ર પોતાની રાજનીતિ બચાવવા માટેનું નાટક છે.
ધવલ પટેલે વધુમાં કહ્યું કે આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીમાં છે અને તે માટે વિવિધ ગતકડાં કરી રહ્યા છે. તેઓ ક્યાંય પણ જાય, ભાજપને કોઈ ફરક પડતો નથી. આ નિવેદન તેમણે તેમની રાજનીતિને જનતા સામે ખુલ્લી પાડવા માટે આપ્યું હોવાનું પણ જણાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે આદિવાસી સમાજને આ નેતાઓ સાથે કોઈ લેવાદેવા નથી અને આદિવાસી સમાજ ભાજપ સાથે મજબૂત રીતે જોડાયેલો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel