ફાગણી પૂનમના પાવન અવસર પર અમદાવાદ થી ડાકોર રણછોડરાય મંદિર સુધી યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. ‘જય રણછોડ’ના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળિયા ઠાકરના ચરણોમાં શિશ નમાવવા માટે પગપાળા રવાના થઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ સમગ્ર ભક્તિપથ ભજન, ભંડારા અને ભક્તિના માહોલથી જીવંત બની જશે.
ફાગણી પૂનમના દિવસે ડાકોરમાં ઉજવાતા પ્રસિદ્ધ ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે દર વર્ષે હજારો ભક્તો આસ્થાભેર અમદાવાદથી ડાકોર સુધી પગપાળા યાત્રા કરે છે. સામાન્ય રીતે એક યાત્રિકને પગપાળા ડાકોર પહોંચવામાં લગભગ ત્રણ દિવસનો સમય લાગે છે. તેથી યાત્રિકો ગુરુવારથી પદયાત્રા શરૂ કરે છે જેથી તેઓ સોમવાર સુધી ડાકોર પહોંચી શકે.
આ આશરે 60 કિલોમીટર લાંબા માર્ગ પર યાત્રિકોને સુવિધા આપવા માટે 180થી વધુ નાના-મોટા સેવા કેમ્પ યોજાશે. આ કેમ્પોમાં ચા-નાસ્તો, ભોજન અને ઠંડા પીણાં ઉપરાંત યાત્રિકોના પગની તેલ માલિશ અને મેડિકલ સારવાર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. અનેક સેવા સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા ભક્તોની સેવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભંડારામાં યાત્રિકોને ફાડા લાપસી, ચુરમાના લાડુ, પુરી-શાક, રોટલી, દાળ-ભાત, ઢોકળા, પાઉં-ભાજી, બટેટાવડા, ફૂલવડી, ફરાળી સૂકી ભાજી, મોરૈયો અને ચેવડો જેવા વિવિધ વ્યંજનો પીરસવામાં આવશે. આ સેવા કેમ્પ સિવાય ઘણા વ્યક્તિઓ પણ ભક્તિપથ પર ઠંડાપીણા, નાળિયેર પાણી અને અન્ય ખાદ્યપદાર્થોનું નિઃશુલ્ક વિતરણ કરવા માટે ઉભા રહેશે.
અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી પદયાત્રા માટે નીકળતા સંઘો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભક્તો ભજન-કીર્તન કરતા અને ભગવાન રણછોડરાયના જયઘોષ સાથે આ પવિત્ર યાત્રા શરૂ કરી રહ્યા છે. ફાગણી પૂનમના આ પ્રસંગે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ ઉમટવાની શક્યતા છે અને સમગ્ર માર્ગ પર ભક્તિનો અનોખો માહોલ સર્જાવાનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel