2019ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકીઓ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. આ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે કે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ નો કમાન્ડર અને પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણાતો આતંકી હમઝા બુરહાન પાકિસ્તાનમાં ગોળીબારનો ભોગ બન્યો છે. અજ્ઞાત બંદૂકધારીઓએ તેના પર તાબડતોબ ફાયરિંગ કરીને ઘટનાસ્થળે જ તેની હત્યા કરી નાખી હતી.
મુઝફ્ફરાબાદમાં ઓફિસમાં ઘૂસી હુમલો
સૂત્રો અનુસાર હમઝા બુરહાન પાકિસ્તાની કબ્જાવાળા કાશ્મીર (PoK) ના મુઝફ્ફરાબાદમાં આવેલી પોતાની ઓફિસમાં હાજર હતો. કહેવાય છે કે તેને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી Inter-Services Intelligence દ્વારા સુરક્ષા આપવામાં આવી હતી.
આ દરમિયાન કેટલાક અજાણ્યા હુમલાખોરો અચાનક ઓફિસમાં ઘૂસી આવ્યા અને હમઝા પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ભારે ફાયરિંગ વચ્ચે હમઝા બુરહાનને બચવાની કોઈ તક મળી નહોતી અને તે સ્થળ પર જ મોતને ભેટ્યો હતો.
જમ્મુ-કાશ્મીરથી પાકિસ્તાન સુધીનો સફર
હમઝા બુરહાન મૂળ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી હતો. વર્ષ 2017 દરમિયાન તે આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય થયો હતો. સુરક્ષા એજન્સીઓના દબાણ બાદ તે ભારતમાંથી ભાગીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો હતો.
પાકિસ્તાનમાં રહીને તે પોતાને એક સામાન્ય ‘શિક્ષક’ તરીકે રજૂ કરતો હતો, પરંતુ હકીકતમાં તે આતંકી નેટવર્કનો મહત્વનો ભાગ હતો.