ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિબિંબ માનવામાં આવે છે. આ પરિક્રમામાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે યાત્રા કરીને આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો અનુભવ કરે છે. રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્ન કરી રહી છે.
19 માર્ચથી 17 એપ્રિલ સુધી ચાલશે 30 દિવસીય પરિક્રમા
આ વર્ષે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા ફાગણ વદ અમાસ એટલે કે 19 માર્ચથી શરૂ થઈને ચૈત્ર વદ અમાસ 17 એપ્રિલ 2026 સુધી ચાલશે. લગભગ 30 દિવસ ચાલનારી આ યાત્રામાં હજારો ભક્તો ભાગ લે તેવી સંભાવના છે. યાત્રાળુઓને સરળ અને સુરક્ષિત સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકારે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રૂ. 10 કરોડના ખર્ચે વ્યાપક સુવિધાઓ
પરિક્રમાર્થીઓની યાત્રા સુગમ બને તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આશરે રૂ. 10 કરોડના ખર્ચે હંગામી તેમજ કાયમી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. વર્ષ 2025-26 દરમિયાન ખાસ કરીને રૂ. 5.41 કરોડના ખર્ચે હંગામી સુવિધાઓનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. તેમાં મોટા ડોમ શેલ્ટર, મોબાઈલ ટોયલેટ, વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, 24×7 એમ્બ્યુલન્સ, ઇમર્જન્સી હેલ્પ પોઇન્ટ જેવી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે.
વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં યાત્રાળુઓ માટે ખાટલા, ગાદલા, ઓશીકાં, ખુરશીઓ અને બેડશીટ સાથે આરામની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમ જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે.
સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ પર ખાસ ધ્યાન
યાત્રાધામ બોર્ડ દ્વારા પરિક્રમા વિસ્તારમાં સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ શૌચાલય, મોબાઇલ ટોયલેટ વાન અને સ્નાનગૃહ ઉપલબ્ધ રહેશે. સતત પાણી પુરવઠો, ડ્રેનેજ અને કચરાના નિકાલ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પરિક્રમા દરમિયાન હાઉસકીપિંગ ટીમો સતત કાર્યરત રહેશે.
આધુનિક ટેક્નોલોજી સાથે સુરક્ષા વ્યવસ્થા
લાખો શ્રદ્ધાળુઓની હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાઓ પણ મજબૂત બનાવવામાં આવી છે. પરિક્રમા માર્ગ પર પોલીસ બૂથ, સુરક્ષા કેબિન અને વૉચ ટાવર ઉભા કરવામાં આવશે. ઉપરાંત ભીડ નિયંત્રણ માટે બેરિકેડિંગ તેમજ ઇન્ફ્રારેડ (IR) અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) આધારિત હેડ કાઉન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને યાત્રાળુઓની અવરજવર પર નજર રાખવામાં આવશે.
લાઇટિંગ અને સર્વેલન્સની આધુનિક સુવિધાઓ
પરિક્રમા માર્ગ અને ઘાટોને પ્રકાશિત કરવા માટે સમગ્ર 18 કિલોમીટર વિસ્તારમાં એલઈડી અને ફ્લડ લાઇટ લગાવવામાં આવશે. જાહેર જાહેરાતો માટે સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ કોમ્યુનિકેશન અને સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી યાત્રાળુઓને સુરક્ષિત અને સુવ્યવસ્થિત યાત્રાનો અનુભવ મળે.
કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર પણ ભાર
રાજ્ય સરકાર દ્વારા હવે પરિક્રમાર્થીઓ માટે કાયમી સુવિધાઓ ઉભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કુલ રૂ. 5.07 કરોડના ખર્ચે વિવિધ સ્થળોએ કાયમી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.
શ્રી મઢી દેવસ્થાન ખાતે પેવર બ્લોક પાથવે, સુવિધા કેન્દ્ર, પાણીની ટાંકી, સોલાર લાઇટ અને શૌચાલય બ્લોક બનાવવામાં આવ્યા છે. શ્રી સિદ્ધટેકરી રામ કુંડ ખાતે રિટેનિંગ વોલ, સુવિધા કેન્દ્ર, યાત્રી નિવાસનું નવીનીકરણ, બોરવેલ અને ડ્રેનેજ સિસ્ટમ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઉપરાંત શ્રી બલબલા કુંડ ખાતે પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, પીવાનું પાણી, ઇલેક્ટ્રિફિકેશન અને પાથવે જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ રીતે રાજ્ય સરકાર દ્વારા શ્રદ્ધા, સુરક્ષા અને સુવિધાનો સમન્વય સાધીને ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાને વધુ સુવ્યવસ્થિત અને ભવ્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel