કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદ શહેર ભાજપ દ્વારા વિશેષ મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસના કાર્યો અને દેશની બદલાતી વૈશ્વિક છબી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓએ છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ, ગરીબ કલ્યાણ, આરોગ્ય, બેંકિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલા પરિવર્તનોને ઉજાગર કર્યા હતા.
‘મોદીનું નેતૃત્વ વિશ્વાસનું પ્રતીક’
પત્રકાર પરિષદને સંબોધતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે વૈશ્વિક સ્તરે પોતાની નવી ઓળખ ઉભી કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષ અને ત્યારબાદ વડાપ્રધાન તરીકેના 12 વર્ષ દરમિયાન મોદીજીના નેતૃત્વે દેશને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડ્યો છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે ભારત વૈશ્વિક મંચ પર વધુ મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે.
આ પ્રસંગે મારી સાથે રાજ્યકક્ષા મંત્રી શ્રીમતી @darshnavaghela_ , મેયર શ્રી @HiteshBarotBJP , અમદાવાદ શહેર ભાજપા પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ તેમજ માનનીય સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અન્ય પદાધિકારીઓ-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. pic.twitter.com/8HpZUtuU0o
— Rushikesh Patel (@irushikeshpatel) June 18, 2026
ભાજપના અગ્રણી નેતાઓ રહ્યા ઉપસ્થિત
આ વિશેષ મીડિયા સંવાદમાં અમદાવાદ શહેરના અનેક અગ્રણીઓ અને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ હસમુખ પટેલ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, અમદાવાદના મેયર હિતેશ બારોટ તેમજ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
નેતાઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચેલા ફાયદા અંગે માહિતી આપી હતી.
જનધન યોજના દ્વારા કરોડો લોકો બેંકિંગ સાથે જોડાયા
કાર્યક્રમ દરમિયાન જનધન યોજનાની સિદ્ધિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ જણાવ્યું કે દેશભરમાં 58 કરોડથી વધુ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેના કારણે ગરીબ અને વંચિત વર્ગને બેંકિંગ વ્યવસ્થાનો સીધો લાભ મળ્યો છે.
આ ખાતાઓમાંથી 32 કરોડથી વધુ ખાતાઓ મહિલાઓના હોવાનું પણ જણાવાયું હતું, જે મહિલાઓના આર્થિક સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
આયુષ્માન ભારતથી આરોગ્ય ક્ષેત્રે મોટો લાભ
મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય ક્ષેત્રમાં થયેલા પરિવર્તનો અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં શરૂ થયેલી આરોગ્ય સુરક્ષા યોજના હવે સમગ્ર દેશમાં ‘આયુષ્માન ભારત’ તરીકે લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે.
આ યોજનાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી સારવારના ખર્ચમાંથી મોટી રાહત મળી છે અને કરોડો લોકો આરોગ્ય સુરક્ષાના દાયરામાં આવ્યા છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સામાજિક સુરક્ષા સુધી વિકાસ
ભાજપના નેતાઓએ દાવો કર્યો કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં માત્ર માર્ગ, રેલવે, એરપોર્ટ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જ થયો નથી, પરંતુ સામાજિક સુરક્ષા ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પરિવર્તનો આવ્યા છે.
ગરીબ કલ્યાણ યોજનાઓ, સીધી સહાય (DBT), ગેસ કનેક્શન, આવાસ યોજના, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સરકાર દ્વારા અનેક પહેલ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે દેશ
કાર્યક્રમ દરમિયાન નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષોમાં ભારત વધુ ઝડપથી વિકાસના માર્ગે આગળ વધશે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા માટે સતત આગળ વધી રહ્યો છે.
તેમના જણાવ્યા અનુસાર સરકારનો મુખ્ય ફોકસ ગરીબ, ખેડૂત, મહિલા અને યુવાનોના સશક્તિકરણ પર છે, જેથી વિકાસનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel