અદાણી સમૂહને ટાર્ગેટ કરતા લેખોને લઈને નોંધાયેલી ફરિયાદ મામલે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સામે ‘પત્રકાર’ રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે આ અરજી પર સીધી સુનાવણી કરવાની ના પાડી દીધી છે અને નાયરને પહેલા હાઇકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી છે.
ક્રાઈમ બ્રાન્ચની નોટિસ બાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
માહિતી મુજબ 12 ફેબ્રુઆરીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રવિ નાયરને નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં તેમના કેટલાક ટ્વિટ્સ અને લેખોને લઈને પૂછપરછ માટે તેમને રૂબરૂ હાજર રહેવા જણાવાયું હતું. આ નોટિસને પડકારતા નાયરે સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં નાયરના વકીલે દલીલ કરી હતી કે અદાણી સમૂહે તેમના વિરુદ્ધ ત્રણ કેસ દાખલ કર્યા છે અને તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને નોટિસ પાઠવી હોવાનું પણ વકીલે કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આ મામલે હાઇકોર્ટમાં જવાને બદલે સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કેમ કરવામાં આવ્યો. ત્યારબાદ બેન્ચે આ અરજી પર સુનાવણી કરવાની ના પાડી અને નાયરને હાઇકોર્ટનો સંપર્ક કરવાની છૂટ આપી.
સુનાવણી દરમિયાન નાયરના વકીલે માંગ કરી હતી કે હાઇકોર્ટમાં અરજી દાખલ થાય ત્યાં સુધી તેમના વિરુદ્ધ કોઈ કડક પગલાં, ખાસ કરીને ધરપકડ, લેવામાં ન આવે તેવી વચગાળાની રાહત આપવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે આ માંગને પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો.
અગાઉ માનહાનિ કેસમાં સજા
આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં માણસાની એક અદાલતે અદાણી સમૂહ વિશે કરેલા ટ્વિટ્સ અને લેખોને લઈને દાખલ થયેલા માનહાનિ કેસમાં રવિ નાયરને દોષી ઠેરવી એક વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે નાયરે ઉપરની અદાલતમાં અપીલ દાખલ કરી છે. ઉપરાંત અદાણી સમૂહે તેમના કેટલાક લેખોને લઈને કોર્ટમાં પડકાર પણ કર્યો છે.
આ રીતે અદાણી સમૂહને લગતા લેખોને લઈને ચાલતા કાનૂની વિવાદમાં હવે આગામી સુનાવણી હાઇકોર્ટમાં થવાની સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel