અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ચોંકાવનારી કાર્યવાહી કરતા હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલા ફરાર કેદીની ધરપકડ કરી છે. વર્ષ 2014માં પેરોલ પર બહાર આવ્યા બાદ ફરાર થયેલો આ શખ્સ છેલ્લા 12 વર્ષથી ઓળખ બદલીને ફિલ્મી દુનિયામાં સક્રિય હતો અને હવે તેને ફરી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ફરાર કેદી ફિલ્મી દુનિયામાં બન્યો એક્ટર
આરોપીની ઓળખ હેમંત નગીનદાસ મોદી (ઉંમર 53) તરીકે થઈ છે. વર્ષ 2005માં નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હત્યાના કેસમાં તેને ભારતીય ન્યાયતંત્ર દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
જુલાઈ 2014માં 30 દિવસની પેરોલ પર બહાર આવ્યા બાદ તે જેલમાં પરત ન ફર્યો અને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તેણે પોતાની ઓળખ બદલીને મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.
બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનો દાવો
મીડિયા અહેવાલો મુજબ, હેમંત મોદીએ અનેક હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં નાના-મોટા રોલ ભજવ્યા હતા. તેમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાં’ તથા રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’ જેવી ફિલ્મોનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત તેણે ગુજરાતી ફિલ્મો અને શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને જાણીતા કલાકારો સાથે પણ દેખાયો હતો.
ઘીકાંટા મેટ્રો સ્ટેશન પાસે ધરપકડ
તાજેતરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ફરાર કેદી શહેરમાં હાજર છે. ત્યારબાદ ટીમે વોચ ગોઠવીને તેને ઘીકાંટા મેટ્રો સ્ટેશન નજીકથી પકડી લીધો. શરૂઆતમાં તેણે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કડક પૂછપરછ બાદ તેણે પોતે હેમંત મોદી હોવાનું સ્વીકાર્યું.
પોલીસે ત્યારબાદ તેને મહેસાણા ડિસ્ટ્રિક્ટ જેલમાં મોકલી દીધો છે, જ્યાં તે પોતાની બાકી રહેલી સજા ભોગવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel